વલસાડમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રાની સમીક્ષા બેઠક મળી!
ગુજરાત સરકારના 20 વર્ષના વિકાસની ગાથા રજૂ કરતા 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં એક બેઠક મળી હતી.
ગુજરાત સરકારના 20 વર્ષના વિકાસની ગાથા રજૂ કરતા 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં એક બેઠક મળી હતી. જેમાં આગામી તા. 5 થી 19 જુલાઈ સુધી ફરનારી વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂર્હુત બાબતે જિલ્લાના સંબંધિત વિભાગોએ કરેલા આયોજનની સમીક્ષા કરી હતી.
આ યાત્રા વલસાડ જિલ્લા પંચાયતની 38 સીટ અને 5 નગરપાલિકા વિસ્તારમાં તબક્કાવાર 2 રથ 83 રૂટો પર ફરનાર છે. સતત 15 દિવસ દરમિયાન વિવિધ નિયત સ્થળોએ કાર્યક્રમો યોજાશે જેમાં લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે. રથના આગમન પૂર્વે જિલ્લા કક્ષાએ જાહેર સ્થળોની સ્વચ્છતા સંબંધિત કામગીરી, ગ્રામ્ય કક્ષાએ વિવિધ સમિતિની બેઠકો, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, પોષણલક્ષી વાનગી હરીફાઈ, બાળકોની વિકાસ વૃધ્ધિ અંગે તપાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પી.એમ.જે.એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ અને કે.વાય.સી દ્વારા અપડેશન તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાશે. આયોજન બાબતે રથના નોડલ અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ખાતે અને તાલુકા કક્ષાનો કાર્યક્રમ દુલસાડ, વેલવાચ અને ફલધરા ખાતે યોજાનાર છે. આ દરમિયાન વિવિધ કામોનું ખાતમૂર્હુત થનાર છે.