8મી જાન્યુઆરીએ મોદી કરશે પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન
ગાંધીનગર, 14 નવેમ્બરઃ વિદેશી બાબતોના કેન્દ્રિય પ્રધાન સુષ્મા સ્વરાજની અધ્યક્ષતા હેઠળ આજે નવી દિલ્હી ખાતે ભારતીય દિવસની રિવ્યૂ બેઠક દરમિયાન ગુજરાત રાજ્યના બિન નિવાસી ગુજરાતી પ્રભાગમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કેન્દ્રિય મંત્રીને ગાંધીનગર ખાતે યોજાનારા પ્રવાસી ભારતીય દિવસ માટે હાલમાં ચાલતી તૈયારીઓ અંગે માહિતી પુરી પાડી હતી.
આ બેઠક બાદ ગુજરાતના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં યુવાનો અને ‘યુથ પીબીડી'ના તા. 7મી જાન્યુઆરી 2015ના રોજ ગાંધીનગરની લો યુનિવર્સિટી પરિસરમાં યોજનારા સમગ્ર દિવસના કાર્યક્રમ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
પ્રવાસી ભારતીય દિવસના આખરી દિવસે એટલેકે 9મી જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી એનઆરઆઇ અને પીઆઇઓના વિદાય સમારોહમાં તેમનું વિશેષ પ્રવચન આપશે અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એનાયત કરશે. વધુમાં આ બેઠકમાં પ્રવચનકારો અને તેને સંલગ્ન અન્ય કાર્યક્રમોની સૂચિ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પ્રવાસી ભારતીય દિવસની 13મી આવૃત્તિ 7-9 જાન્યુઆરી 2015 દરમિયાન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરના કન્વેશન્શન સેન્ટરમાં યોજાનાર છે. આ વર્ષના પ્રવાસી ભારતીય દિવસનું મુખ્ય આકર્ષણ મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફરવાના 100 વર્ષ થાય છે, તે રહેશે. આ મેગા ઇવેન્ટમાં 4000-5000થી વધુ પીઆઇઓ ઉપસ્થિત રહે તેવો અંદાજ છે.