સિંહના સ્થાનાંતરણ મુદ્દે સાસણના સ્થાનિકો અરજી કરશે
ગીરના સિંહો મધ્યપ્રદેશમાં ખસેડવાના સુપ્રીમ કોર્ટના હુકમ સામે ગુજરાત સરકાર તો અપીલ કરતાં કરશે, પણ એ પહેલાં સાસણ અને તલાળા પંથકના સ્થાનિક લોકો એકત્ર થઈ આ સપ્તાહે રિવ્યૂ પીટિશન દાખલ કરવાના છે એવા અહેવાલો પ્રાપ્ત થયા છે.
ગુજરાતના ગીરના વિશ્વવિખ્યાત સિંહો મુદ્દે આ પીટિશનરો મુખ્ય બે મુદ્દા ઉપર કાનુની જંગ લડવાના છે. એક તો સિંહો આ વિસ્તારના માનવજીવન સાથે વર્ષોથી જોડાયેલા છે, ત્યારે એમને અન્ય સ્થળે ખસેડી સિંહજીવન અને માનવજીવન વચ્ચે ભાગલા પાડવાનો અધિકાર કોણે આપ્યો? આટલા વર્ષોથી સિંહોનું જતન અને સંવર્ધન થયું છે, ત્યારે હવે મધ્યપ્રદેશમાં એમનું રક્ષણ કોણ કરશે. આ સંદર્ભે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવાવા જોઈએ એવી લાગણી પ્રવર્તી રહી છે.
પીટિશનમાં બીજો મુખ્ય મુદ્દો મધ્યપ્રદેશમાં વાઘની હાજરીનો છે, આ સંદર્ભે એવી દલીલ છે કે, સિંહ-વાઘ જેવા ભયાવહ પ્રાણીઓ વિશ્વમાં ક્યાંય સાથે રહેતા નથી અને કુદરત જો એમને સાથે રહેવા ના દેતી હોય તો અદાલત એમને કઈ રીતે ભેગા કરી શકે? આ રિવ્યૂ પીટિશન કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાની આગેવાની હેઠળ દાખલ થવા જઇ રહી છે.