બાપુના ટ્વિટર પરથી કોંગ્રેસ ગાયબ, હવે બાપુ ખાલી ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે!
શંકર સિંહ વાઘેલાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી કોંગ્રેસને નીકાળ્યું. હવે તે છે ખાલી ભૂતપૂર્વ મુખ્યમંત્રી. જાણો આ અંગે વિતગવાર અહીં.
કોંગ્રેસના ભૂતપૂર્વ વિપક્ષ નેતા શંકર સિંહ વાઘેલાનો આજે જન્મદિવસ છે. ગાંધીનગર ખાતે તેમણે આ માટે એક ભવ્ય સમારંભનું આયોજન પણ કર્યું હતું. તેમના 77માં જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમની શરૂઆતમાં જ શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે 24 કલાક પહેલા તેમને કોંગ્રેસમાંથી નીકાળી દેવામાં આવ્યો છે. તે પછી તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ કોંગ્રેસને નીકાળીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે પોતાના પદ વિષે લખ્યું છે. ઉલ્લેખનીય છે કે શંકર સિંહ વાઘેલા હંમેશાથી સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે જ્યારે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી ત્યારે પણ તેમના સમર્થકો દ્વારા ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી તરીકે પેજ સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવતા વિવાદ થયો હતો. તે પછી તેમણે સોશ્યલ મીડિયામાં રાહુલ ગાંઘી સમેત અનેય તમામ કોંગ્રેસી નેતાઓને બકાત કરી મૂક્યા હતા. તેમાં પણ વિવાદ થતા બાપુએ સ્પષ્ટતા આપી હતી કે તે હવે સોશ્યલ મીડિયાનો ઉપયોગ નહીં કરે. તે પછી આજે તેમના જન્મદિવસ પર તેમણે પોતાના કાર્યક્રમની લિંક મૂકીને જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી તેમને નીકાળી દેવામાં આવ્યા છે. સાથે જ તેમના અધિકૃત એકાઉન્ટ પર પણ હવે તેમણે ખાલી ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેવું જ લખ્યું છે.