રાહુલ ગાંધીએ દેશદ્રોહીઓનો સાથ આપ્યો હતો: સ્મૃતિ ઇરાની
ગુજરાતની મુલાકાતે આવેલ સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, ગુજરાતની પ્રજા કોંગ્રેસને માફ નહીં કરે.
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની મંગળવારે ગુજરાતની મુલાકાતે હતા. આ દરમિયાન ગુજરાત ગૌરવ યાત્રામાં આદિવાસીઓને સંબોધિત કરતાં તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'જે લોકોએ કથિત રીતે ભારત વિરુદ્ધ નારેબાજી કરી હતી, રાહુલ ગાંધીએ તેમનું સમર્થન કર્યું છે. જેએનયુમાં દેશદ્રોહી નારા લગાવનારાને સાથ આપનાર રાહુલ ગાંધીને ગુજરાતની પ્રજા ચૂંટણીમાં ક્યારેય સાથ નહીં આપે. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે તેમણે નર્મદા યોજનાને રોકવાનું કામ કર્યું હતું, તે સમયના મુખ્યમંત્રી પ્રત્યેના અણગમાને કારણે આમ કરવામાં આવ્યું હતું.'
સ્મૃતિ ઇરાનીએ આગળ કહ્યું કે, 'રાહુલ ગાંધીએ 'ભારત તેરે ટુકડે હોંગે'નો નારો લગાવનારાઓનો કઇ રીતે સાથ આપ્યો હતો, એ સમગ્ર દેશે જોયું છે. ગુજરાત સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની જમીન છે, હું પૂછવા માંગુ છું કે શું આ ધરતી આગામી ચૂંટણીમાં રાહુલ ગાંધીનું સમર્થન કરશે?' જો કે, ભીડ દ્વારા સ્મૃતિ ઇરાનીને તેમના આ સવાલનો જવાબ નહોતો મળ્યો. નોંધનીય છે કે, ગુજરાતમાં ડિસેમ્બર માસમાં ચૂંટણી તાય એવી શક્યતા છે.'
'નર્મદા યોજના માટે ગુજરાતે લાંબી લડાઇ લડી છે. આ કામ 55 વર્ષમાં પણ પૂર્ણ થઇ શકે એમ નહોતું. યુપીએના કાર્યકાળમાં રેલવે તરફથી આ યોજના માટે જરૂરી મંજૂરી નહોતી મળી. રાજકોટથી આણંદ સુધી જતી કેનાલ બનાવવાની મજૂરી નહોતી આપવામાં આવી. કોંગ્રેસે આ પગલું માત્ર તે સમયની ભાજપ સરકારનો વિરોધ કરવા માટે ભર્યું હતું, નરેન્દ્ર મોદી તરફના અણગમાને કારણે આ યોજના રોકવામાં આવી હતી. એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નહીં આવે ત્યાં સુધી ગુજરાતને વીજળી આપવામાં નહીં આવે.'
'કોંગ્રેસ ભાજપ સાથે હિસાબ બરાબર કરવા માંગતી હતી. ગુજરાતના લોકો કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. તેમણે ગુજરાતને પાણી નહોતું આપ્યું, કારણ કે તેઓ રાજ્યની મોદી સરકાર સામે વેર વાળવા માંગતા હતા. સરદાર પટેલની ધરતી સાથે જોડાયેલા લોકો કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે.' રાહુલ ગાંધી પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, 'રાહુલના વિકાસનું મોડલ શું છે? અમેઠીમાં કોંગ્રેસ 50 વર્ષથી જીતે છે, પરંતુ ત્યાંના ખેડૂતો જ્યારે યુરિયા માંગે ત્યારે તેમની પર ગોળીબાર કરવામાં આવતો હતો. લોકોને યાદ હશે કે, કોંગ્રેસના શાસનકાળમાં મહારાષ્ટ્રમાં પણ ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.'