સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ : 650 સાક્ષીઓની તપાસ પૂરી થતા હજી 24 મહિના થશે
મુંબઇ, 15 જાન્યુઆરી : મુંબઇની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે સોહરાબુદીન નકલી એન્કાઉન્ટ કેસ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું કે આ કેસની ટ્રાયલ પૂરી કરવામાં હજી બે વર્ષનો સમય લાગશે. આ કેસમાં 650 સાક્ષીઓને તપાસવાના બાકી છે. આ ઉપરાંત ટ્રાયલ શરૂ કરતાં પહેલાં કેસ સંદર્ભે કરવામાં આવેલી અરજીઓનો નિકાલ કરવો પડશે.
આ પહેલાં સુપ્રીમકોર્ટે આ કેસ જલ્દીથી ચલાવવા સૂચના આપી હતી અને પૂછયું હતું કે કેટલા સમયમાં આની ટ્રાયલ પુરી કરવામાં આવશે. ટ્રાયલ જજે આપેલા રિપોર્ટના આધારે મુંબઇ હાઇકોર્ટેના રજીસ્ટ્રારે જણાવ્યું હતું કે મરાઠી અને ગુજરાતીમાં આવેલ બધા દસ્તાવેજોનું અંગ્રેજીમાં અનુવાદ થઇ ગયું છે, હવે અરજીઓનો નિકાલ કરવા ત્રણ મહિનાનો સમય લાગશે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અમે ટ્રાયલ જજને માર્ચ સુધી બધી અરજીઓનો નિકાલ કરવા જણાવ્યું છે અને એ પછી ચાર્જ ફ્રેમ કરી કાર્યવાહીને ઝડપથી ચલાવવા જણાવ્યું છે.
આ આરોપીઓમાંના એક આરોપી રાજકુમાર પાંડિયને કોર્ટને વિનંતી કરી છે કે એને મુંબઇથી બહાર જવાની મંજૂરી આપવામાં આવે કેમ કે એમના કોર્ટ દ્વારા જામીન શરતમાં મુંબઇ નહીં છોડવાની શરત રાખેલ છે. આ શરતને દૂર કરવામાં આવે.
સુપ્રિમ કોર્ટે આ કેસને અમદાવાદથી મુંબઇ 2012માં ટ્રાન્સફર કર્યો હતો. આ કેસમાં ટ્રાયલ જજે હાલમાં જ ભાજપ અધ્યક્ષ અમિત શાહને કિલનચીટ આપી નિર્દોષ જાહેર કરી જણાવ્યું હતું કે એમની સામે સીબીઆઇ પાસે કોઇ પૂરતા પુરાવાઓ નથી, એમની ધરપકડ રાજકીય કારણોસર કરવામાં આવી હતી.