હવે ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સીધી ફ્લાઈટ મળશે!
વર્ષોથી હવાઈ સેવા માટે રાહ જોતા ભાવનગર માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે ભાવનગરથી વેપાર અર્થે દિલ્હી, સુરત અને મુંબઇ સાથએ જોડાયેલા વેપારીઓને જનતાને આ શહેરો સુધી સીધી ફ્લાઈટ મળશે.
વર્ષોથી હવાઈ સેવા માટે રાહ જોતા ભાવનગર માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે ભાવનગરથી વેપાર અર્થે દિલ્હી, સુરત અને મુંબઇ સાથએ જોડાયેલા વેપારીઓને જનતાને આ શહેરો સુધી સીધી ફ્લાઈટ મળશે. હવાઈ સેવાનો વિસ્તાર થતા હવે વર્ષોથી જોવાતી રાહનો અંત આવ્યો છે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરીને કરાવી હતી. મુખ્યમંત્રીએભાવનગર ખાતે નવી શરૂ થયેલી ફ્લાઇટના શુભારંભ પ્રસંગે કહ્યું કે, આજે ભાવનગર માટે નવો અધ્યાય લખાવાં જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૩ વિમાની કનેક્ટિવિટી રાજ્યને મળી છે.
ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાના શુભારંભ પ્રસંગે ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરાવ્યુ હતુ. તેમણે કહ્યું કે, આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી રો-રો ફેરી અને ઘોઘાથી સુરતની રો-પેક્ષ ફેરીની શરૂઆત દરિયાઈ માર્ગે કરાવાઇ હતી અને હવે આજે ભાવનગરથી સીધા દિલ્હી અને મુંબઈ હવાઈ સેવાની શરૂઆત થઈ રહી છે.
ભાવનગર ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવાં સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાંગવાનો વાડો ભાવનગરના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી વ્હિકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગરમાં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે ત્યારે આ કનેક્ટીવીટી વધતાં વધુને વધુ લોકો સરળતાથી ભાવનગર અને ભાવનગરના લોકો વિશ્વ સાથે જોડાઇ શકશે.