વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા રજા પગાર અને ગ્રેડ પે વાધારવાની માગ, આપી રાજ્યવ્યાપી હડતાલની ચિમકી
છેલ્લા ઘણા સમયથી રાજ્યના વનરક્ષક અને વનપાલના ગ્રેડ પેમાં વધારો કરવા માટે પણ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે.
ગાંધીનગર : વર્તમાન સમયમાં ગુજરાત પોલીસના ગ્રેડ પે વધારવા માટેની લડત ઘણા વખતથી ચાલી રહી હતી, જેનો સુખદ અંત આવ્યો હતો. આ સાથે છેલ્લા ઘણા સમયથી રાજ્યના વનરક્ષક અને વનપાલના ગ્રેડ પેમાં વધારો કરવા માટે પણ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે.
આગામી 29મી થી વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા હડતાલની ચિમકી
સરકારને વારંવાર રજૂઆતો કરવા છતા વનરક્ષક અને વનપાલના ગ્રેડ પે માં કોઇ વધારો કરવામાં આવી રહ્યો નથી, જે કારણે મંગળવારના રોજ ગાંધીનગર ડિવિઝન હેઠળની રેન્જના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું છે.
આ સાથે આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે, તો આગામી 29મી થી વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા હડતાલની ચિમકી પણ આપવામાં આવી છે.
ગાંધીનગરના મુખ્ય વનસંરક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું
ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા વન વિભાગમાં ફરજ બજાવી રહેલા વનપાલો અને વનરક્ષકની નોકરીમાં આવી રહેલા વિવિધ પ્રશ્નો બાબતે છેલ્લા બે વર્ષમાં ઘણીવાર રજૂઆત પણ કરવામાં આવી હતી.
સ્થાનિક અધિકારીઓથી લઇને સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતા પણ વનપાલ અને વનરક્ષકના ગ્રેડ પે માં વધારો કરવામાં આવી રહ્યો નથી.
જે કારણે મંગળવારના રોજ ગાંધીનગર ડિવિઝન હેઠળ આવતી વિવિધ રેન્જના વનરક્ષકો અને વનપાલ એકઠા થયા હતા અને ગાંધીનગરના મુખ્ય વનસંરક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદન પત્રમાં વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે, વનરક્ષક વર્ગ-3 ને 2800 અને વનપાલને 4200 ગ્રેડ પે આપવામાં આવે.
તમામ કર્મચારીઓ કામગીરીથી અળગા રહેશે
આ સાથે જાહેર રજા અને રજાના દિવસોમાં કરવામાં આવતી કામગીરી સામે પણ વનરક્ષકો તથા વનપાલને રજા પગાર સ્વરૂપે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી, જ્યારે ભરતી તથા બઢતીના રેસિયો 1:3 કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તારીખ 29 સપ્ટેમ્બરથી વનપાલ અને વનરક્ષકો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર ઉતરશે અને તમામ કર્મચારીઓ કામગીરીથી અળગા રહેશે.