Statue of Unityના અનાવરણ દરમિયાન પીએમ મોદીએ કહી આ 10 મોટી વાતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું ઉદઘાટન કર્યુ. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના અનાવરણ પ્રસંગે પીએમ મોદીએ ઘણી વાતો કહી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું ઉદઘાટન કર્યુ. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ના નામે ઓળખવામાં આવશે. આ પ્રતિમાને ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થાપિત કરવામાં આવી છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના અનાવરણ પ્રસંગે પીએમ મોદીએ ઘણી વાતો કહી. તેમણે કહ્યુ કે સરદાર પટેલનું આ સ્મારક તેમના પ્રત્યે કરોડો ભારતીયોના સમ્માન, આપણા સામર્થ્યનું પ્રતીક તો છે જ, તે દેશની અર્થ વ્યવસ્થા, રોજગાર નિર્માણનું પણ મહત્વપૂર્ણ સ્થાન બનવાનું છે. આનાથી હજારો આદિવાસી ભાઈ-બહેનોને દર વર્ષે સીધો રોજગાર મળવાનો છે. પીએમ મોદીના સંબોધનની મોટી વાતો...
આ પણ વાંચોઃ જાણો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અનમોલ વિચારો
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું પીએમ મોદીએ કર્યુ અનાવરણ
1. ગુજરાતના કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' ના અનાવરણ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ કે ગુજરાતના સીએમ તરીકે જ્યારે આની કલ્પના કરી હતી ત્યારે અંદાજ નહોતો કે દેશના પીએમ તરીકે આ મૂર્તિનું અનાવરણ કરવાનો અવસર મળશે. તેમણે ગુજરાતની જનતાનો આભાર માન્યો અને કહ્યુ - આ માટીમાં ઉછર્યો, મોટો થયો, આ અવસર મને મળ્યો, હું ધન્ય થઈ ગયો.
2. તેમણે કહ્યુ કે આજે જ્યારે ધરતીથી લઈ આસમાન સુધી સરદાર સાહેબનો અભિષેક થઈ રહ્યો છે ત્યારે ભારતે માત્ર પોતાના માટે ઈતિહાસ નથી રચ્યો પરંતુ ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચુંબી આધાર પણ રાખ્યો છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા આપણી ભાવિ પેઢીઓને એક પ્રેરણા આપશે.
3. પીએમ મોદીએ જણાવ્યુ કે સરદાર સાહેબનું સામર્થ્ય ત્યારે ભારતના કામમાં આવ્યુ હતુ જ્યારે મા ભારતી સાડા પાંચસોથી વધુ રજવાડાઓમાં વહેંચાયેલી હતી. દુનિયામાં ભારતના ભવિષ્ય પ્રત્યે ઘોર નિરાશા હતી. નિરાશાવાદીઓને લાગતુ હતુ કે ભારત પોતાની વિવિધતાઓના કારણે વિખેરાઈ જશે.
‘સરદારમાં કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજીના શૌર્યનો સમાવેશ'
4. પીએમ મોદીએ કહ્યુ, ‘તેમણે 5 જુલાઈ, 1947ના રોજ રજવાડાઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે વિદેશી આક્રાંતાઓ સામે આપણા અંદરના ઝઘડા, એકબીજાની દુશ્મની, વેરનો ભાવ, આપણી હારનું મોટુ કારણ હતી. હવે આપણે આ ભૂલનું પુનરાવર્તન કરવાનું નથી અને ફરીથી કોઈના ગુલામ પણ નથી બનવાનું. સરદાર સાહેબના આ સંવાદથી, એકત્રીકરણની શક્તિને સમજીને તેમણે પોતાના રાજ્યોને વિલય કરી દીધા. જોતજોતામાં ભારત એક થઈ ગયુ.'
5. તેમણે કહ્યુ કે સરદાર પટેલમાં કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજીના શૌર્યનો સમાવેશ હતો, સરદાર સાહેબના આહવાન પર દેશના સેંકડો રજવાડાઓએ ત્યાગનું ઉદાહરણ પૂરુ પાડ્યુ હતુ. આપણે આ ત્યાગને પણ ક્યારેય ન ભૂલવા જોઈએ.
6. પ્રધાનમંત્રીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ કે જે નબળાઈ પર દુનિયા આપણને એ સમયે ખરુ-ખોટુ સંભળાવી રહી હતી તેને જ તાકાત બનાવીને સરદાર પટેલે દેશને રસ્તો બતાવ્યો. તે રસ્તે ચાલીને શંકાઓમાં ઘેરાયેલુ તે ભારત આજે દુનિયા સાથે પોતાની શરતો પર સંવાદ કરી રહ્યુ છે, દુનિયાની મોટી આર્થિક અને સામરિક શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યુ છે.
‘સરદારના સંકલ્પ વિના ભારત એક ન થઈ શકતુ'
7. સરદાર પટેલના કાર્યો વિશે તેમણે કહ્યુ કે એ માત્ર તેમનો સંકલ્પ જ છે કે આપણે કચ્છથી કોહિમા સુધી, કારગિલથી કન્યાકુમારી સુધી આજે બેરોકટોક જઈ શકીએ છીએ તો એ સરદાર સાહેબના કારણે સંભવ બની શક્યુ છે. સરદાર સાહેબે સંકલ્પ ન લીધો હોત, તે આજે ગીરના સિંહને જોવા માટે, સોમનાથમાં પૂજા કરવા માટે અને હૈદરાબાદમાં ચાર મીનાર જોવા માટે આપણે વિઝા લેવા પડત. સરદાર સાહેબનો સંકલ્પ ન હોત તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી સીધી ટ્રેનની કલ્પના પણ ન કરી શકાતી નહોતી.
8. પીએમ મોદીએ કહ્યુ કે આ પ્રતિમા, સરદાર પટેલના એ પ્રણ, પ્રતિભા, પુરુષાર્થ અને પરમાર્થની ભાવનાનું પ્રકટીકરણ છે. આ પ્રતિમા તેમના સામર્થ્ય અને સમર્પણનું સમ્માન તો છે જ, તે New India, નવા ભારતના નવા આત્મ વિશ્વાસની પણ અભિવ્યક્તિ છે. આ પ્રતિમા ભારતના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનારાઓને એ યાદ અપાવવા માટે છે કે આ રાષ્ટ્ર શાશ્વત હતો, શાશ્વત છે અને શાશ્વત રહેશે.
શિલ્પકારોનો પીએમ મોદીએ માન્યો આભાર
9. Statue of Unity આપણા એન્જિનિયરિંગ અને ટેકનિકલ સામર્થ્યનું પણ પ્રતીક છે. છેલ્લા લગભગ સાડા ત્રણ વર્ષોમાં દરરોજ કામદારોએ, શિલ્પકારઓએ મિશન મોડ પર કામ કર્યુ છે. તેમણે કહ્યુ કે રામ સુથારની આગેવાનીમાં દેશના અદભૂત શિલ્પકારોની ટીમે કલાના આ ગૌરવશાળી સ્મારકને પૂર્ણ કર્યુ છે.
10. મૂર્તિ વિશે તેમણે કહ્યુ કે આજે આ સફર જે એક પડાવ પર પહોંચ્યો છે તેની યાત્રા 8 વર્ષ પહેલા આજના જ દિવસે શરૂ થઈ હતી. 31 ઓક્ટોબર, 2010ના રોજ અમદાવાદમાં તેમણે આનો વિચાર બધા સામે મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે કરોડો ભારતીયોની જેમ ત્યારે તેમના મનમાં એક જ ભાવના હતી કે જે વ્યક્તિએ દેશને એક કરવા માટે આટલો બધો પુરુષાર્થ કર્યો હોય, તેમને એ સમ્માન અવશ્ય મળવુ જોઈએ જેના એ હકદાર છે.
આ પણ વાંચોઃ આવતા 50 વર્ષો સુધી ભાજપ સત્તામાં રહેશે, શું છે અમિત શાહનો મંત્ર?