સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર લોકો સામે સખ્ત કાર્યવાહી થશેઃ DGP
સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર લોકો સામે સખ્ત કાર્યવાહી થશેઃ DGP
કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવવાનો નિર્ણય રાજ્ય પોલીસ વડાએ કર્યો છે. સોસાયટી અને મહોલ્લામાં પણ નાગરિકો એકત્ર થશે તો ડ્રોનના ફૂટેજની ચકાસણી કરીને તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. માલવાહક વાહનોને હેરાફેરી માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ, જો કોઇ વાહનમાં લોકોની પણ હેરફેર કરાતી હોવાનું બહાર આવશે તો આવા સંજોગોમાં વાહન જપ્ત કરીને માલિકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરાશે. જુનાગઢ ખાતે ખાનગી એમ્બ્યુલન્સમાં માણસોની હેરાફેરી સંદર્ભે એમ્બ્યુલન્સના સંચાલક સહિત ૧૦ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું છે.
સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર પર કરાશે કાર્યવાહી
લૉકડાઉન અને કોરોના વાયરસ અંગે રાજયના વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો સમૂહ માધ્યમો મારફતે સંપુર્ણ માહિતી આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં નાગરિકો ગેરમાર્ગે દોરવાય અને અફવાઓ ફેલાય તેવી પોસ્ટ ન મૂકવા લોકોને અપીલ છે. આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા સોશિયલ મીડિયા ટ્રાફિક પર સતત નજર રાખી રહી છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ રાજ્યમાં ૨૫ ગુના નોંધીને ૫૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ તહેવારોના સમયમાં પણ નાગરિકોએ તહેવારની ઉજવણી ઘરે રહીને કરવા અપીલ કરી હતી. ધાર્મિક સંસ્થાઓમાં પણ બેથી ત્રણ લોકો સિવાય વધુ લોકોને એકત્ર ન થવા તેમજ ધર્મગુરુઓને પણ નાગરિકોને એકત્ર ન કરવા અપીલ કરવામાં આવી છે.
નિવૃત પોલીસ કર્મીઓની લેવાશે મદદ
રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેવા હેતુથી કમ્યુનિટી વોલિન્ટીયર્સ તરીકે સિવિલ ડિફેન્સના જવાનો, કોલેજના NSS/NCCના વિદ્યાર્થીઓની પણ સેવા લેવામાં આવશે. આ નિવૃત પીએસઆઇ અને તેથી નીચેની કેડરના શારીરિક સક્ષમ પોલીસ કર્મચારીઓને પણ લોકડાઉનની કામગીરીમાં જોડવામાં આવશે.
દિલ્હી મરકઝ નિઝામુદ્દીનમાં ગયેલા 84 લોકો ક્વોરેન્ટાઇન કર્યા
દિલ્હી મરકઝ નિઝામુદ્દીનમાંથી ગુજરાતમાં આવેલા લોકો અંગે કેન્દ્ર સરકાર દ્વારા આપેલી વિગતો મુજબ વિવિધ સ્થળૉએ ચેકિંગ કરીને આજે સુરતમાંથી ૦૮ તેમજ અમદાવાદમાંથી ૦૪ એમ અત્યાર સુધીમાં ૮૪ લોકોને કવૉરન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. રાજ્યમાં લૉકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ બદલ ૭૫૩, કવૉરન્ટાઈનના ભંગ બદલ ૩૬૧ જ્યારે અન્ય ૪૨ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં ૧૯૯૦ આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે ૫૭૦૭ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.