દાણાની ફેક્ટરીમાં આગ લાગી, બાજુની સ્કૂલમાંથી બધા બાળકોને સુરક્ષિત બહાર કઢાયા
દાણાની ફેક્ટરીમાં આગ લાગી, બાજુની સ્કૂલમાંથી બધા બાળકોને સુરક્ષિત બહાર કઢાયા
સુરતઃ સુરતમાં આવેલ જ્ઞાનગંગા વિદ્યાલયની બાજુમાં આવેલ દાણાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટના સમયે સ્કૂલમાં 250 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. જો કે તમામ બાળકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. હાલ કોઈપણ પ્રકારની જાનહાની ન થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. સુરતના ભટાર વિસ્તારમાં આવેલ દાણાની ફેક્ટરીમાં લાગેલ આ આગ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.
આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરાઈ હતી. સમયસર પહોંચેલ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે. હજુ તક્ષશિલા કોમ્પ્લેક્સમાં લાગેલ આગની દાઝ હજુ મટી નથી કે ફરી આવી ઘટના ફાયર સેફ્ટી મામલે ઘણા સવાલો પોકારી પોકારીને ઉઠાવે છે. ફાયર સેફ્ટીનો અભાવ જણાતા તંત્રએ પણ સ્કૂલને સિલ મારી દીધું છે.
જણાવી દઈએ કે જ્ઞાનગંગા સ્કૂલમાં પણ કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનું જાણવા મળ્યું છે. સુરતના મેયર જગદીશ પટેલે કહ્યું કે, આગ લાગવાના કારણો શું છે તે અંગે તપાસ કરવામાં આવશે બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. જરૂરી તમામ પગલાં લેવા માટે તંત્ર તમામ સ્તરે કામ કરશે.
આ પણ વાંચો- ભારતના દબાણ બાદ ઝૂક્યું એન્ટીગુઆ, મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ થશે