હિતેશ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, બોલિવૂડમાં હતું રોકાણ!
હિતેશ રબારી ચકચાર આત્મહત્યા કેસમાં તાજેતરની તપાસમાં બહાર આવ્યું છે કે, તેનું બોલિવૂડમાં કરોડોનું રોકાણ હતું.
ગત શુક્રવારે મધરાતે નવસારીના ગણદેવી મટવાડ ખાતેના આલીશાન ફાર્મહઉસના બિલ્ડર દશરથ રબારી(દેસાઇ)ના નાના ભાઇ હિતેશ રબારીએ આત્મહત્યા કરી હતી. નવસારીના ગણદેવી મટવાડ ગામે 130 એકરની જમીન પર આવેલ પોતાના આલીશાન સ્ટડફાર્મ પર હિતેશ શુક્રવારે રાત્રે પહોંચ્યો હતો. તે જ્યારે પણ ફાર્મહાઉસ પર જતો, ત્યારે કોઇ ને કોઇ મિત્રને સાથે લઇને જતો, પરંતુ તે દિવસે હિતેશ એકલો જ ગયો હતો. મધરાતે તેણે કપાળે રિવોલ્વર મુકી આત્મહત્યા કરી લીધી હતી.
આત્મહત્યાનું કારણ અકબંધ
પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી આ મામલાની તપાસ પૂરજોશમાં કરી રહી છે. અત્યંત વૈભવી જીવન જીવતા હિતેશ રબારીની આત્મહત્યાના કેસમાં એક પછી એક અનેક ખુલાસા થયા છે, પરંતુ આત્મહત્યા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. હિતેશનો પરિવાર શોકમગ્ન અને આશ્ચર્યચકિત છે. પોલીસને હિતેશના પરિવારજનોના નિવેદનની રાહ છે.
બોલિવૂડમાં રોકાણ
તાજેતરની તપાસમાં હિતેશ રબારીએ બોલિવૂડમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. તે બોલિવૂડના કેટલાક નાના-મોટા ફિલ્મ પ્રોડ્યૂસર્સ સાથે બેઠકો પણ કરતો હતો. હવે હિતેશની આત્મહત્યા બાદ તેણે જે ફિલ્મોમાં રોકાણ કર્યુ હતું, તે ફિલ્મોનું પ્રોડક્શન અટવાઇ પડે એવી પરિસ્થિતિ ઊભી થઇ છે.
પરિણીતાની સંડોવણી
સુરતના સિટીલાઇટ વિસ્તાર ખાતે રહેતી એક પરિણીતાનું નામ આ કેસ સાથે જોડાયું છે. પોતાને હિતેશની મિત્ર ગણાવતી આ પરિણીતાને કારણે જ હિતેશે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસને આપેલ નિવેદનમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, હિતેશ માત્ર મારો મિત્ર હતો. અમારી વચ્ચે કોઇ અનૈતિક સંબંધો નહોતા. અમે સવારે જિમમાં મળતા હતા. આ સિવાય અમે જ્યારે પણ મળ્યાં છીએ, મિત્રો સાથે ગ્રૂપમાં જ મળ્યાં છીએ.
હિતેશની મદદથી મેળવ્યા મોડલિંગ એસાઇન્મેન્ટ
હિતેશ રબારીની ઓળખાણને આધારે તેની આ પરિણીત મિત્રને અનેક મોડેલિંગ એસાઇન્મેન્ટ્સ મળ્યા હોવાનું પણ કહેવાય છે. હિતેશના ફાર્મ હાઉસમાં જ પરિણીતાએ એક ફોટો શૂટ કરાવ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું, આ સાથે જ આ ફાર્મ હાઉસમાં પરિણીતાએ પડાવેલ તસવીરો પણ સામે આવી હતી. આ પરિણીતાને કારણે જ 4 વર્ષ પહેલાં સિટી લાઇટના એક કાપડના વેપારીએ આત્મહત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.
પરિણીતા વિરુદ્ધ ફરિયાદ
નોંધનીય છે કે, હિતેશના મોટા ભાઇએ થોડા મહિના પહેલાં જ આ પરિણીતા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. કહેવાઇ રહ્યું છે કે, આ પરિણીતાએ હિતેશને ખોટા રવાડે ચડાવી દીધો હતો અને આથી પરિવારજનો હિતેશને એનાથી દૂર રાખવા માંગતા હતા. પરંતુ હિતેશ એને છોડવા તૈયાર નહોતો. પરિવારજનોએ હિતેશના મિત્રોને પણ કહ્યું હતું કે, તેને પરિણીતાથી દૂર રહેવા સમજાવે.