સુરતનો પોલિયોગ્રસ્ત યુવાન કરશે 17,500 KMની ભારતયાત્રા
સુરત, 19 ઓગસ્ટ : સુરત શહેરના એક પોલિયોગ્રસ્ત યુવકે પર્યાવરણ બચાવો અને વિકલાંગોના હક અને રોજગારી માટે ખાસ તૈયાર કરાવેલી ટ્રાઇસિકલથી ભારત યાત્રા શરૂ કરી છે. તેઓ ભારતની 17,500 કિલોમીટરની યાત્રા કરીને વિકલાંગો માટે રોજગારની તકો વિકસાવવાનો સંદેશો પાઠવશે.
સુરત શહેરમાં રહેતા ભાવેશ પિપળિયા એક મિશન સાથે ભારત ભ્રમણ કરવાના છે. તેઓ 19 રાજ્યોમાંથી પોતાની યાત્રા કાઢશે. ભાવેશ પિપળિયા સુરતના સિંગનપોર વિસ્તારમાં રહે છે. તેઓ સુરતના જ એક વિસ્તાર કતારગામમાં મોબાઇલની દુકાન ચલાવે છે.
ભાવેશનું કહેવું છે કે તેમનામાં કંઇક કરી છુટવાની ભાવના પહેલેથી હતી. આ કારણે તેઓ ઘણા સમય પહેલા જ આ યાત્રા પર નીકળવા માંગતા હતા. પરંતું પરિવારજનોની ના હતી. હવે, તેઓ પોતાના પરિવારને આ માટે રાજી કરી શક્યા છે.
ભાવેશ પિપળિયાએ સ્વાતંત્ર્ય દિન એટલે કે 15 ઓગસ્ટના રોજ પોતાની યાત્રા શરૂ કરી છે.