ગૌરી લંકેશ હત્યા: સુરતના નિખિલના ટ્વીટ પર થયો હતો વિવાદ
ગૌરી લંકેશ હત્યાકાંડ બાદ સુરતના નિખિલ દધીચે આ અંગે કરેલ ટ્વીટ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
બેંગલુરુ ખાતે પત્રકાર ગૌરી લંકેશની તેમના ઘરની બાહર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગૌરી લંકેશની હત્યા સાથે જ તેમના પરિવારજનોએ હત્યારાઓને સજા મળે એ માટેની લડત શરૂ કરી હતી, તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર અલગ જ યુદ્ધ શરૂ થયું હતું. ટ્વીટર પર કેટલાક યુઝર્સ દ્વારા ગૌરી લંકેશની હત્યા અંગે ખુશી વ્યક્ત કરતાં ટ્વીટ કરવામાં આવ્યા હતા, તો કેટલાક લોકોએ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. ગૌરી લંકેશની હત્યા અંગે આપત્તિજનક ટ્વીટ કરનાર કેટલાક યૂઝર્સને પીએમ નરેન્દ્ર મોદી ફોલો કરતા હોવાને કારણે વિવાદ ખાસો વધ્યો હતો.
પત્રકાર ગૌરી લંકેશ
ઉલ્લેખનીય છે કે, પત્રકાર ગૌરી લંકેશની છબી એન્ટિ-હિંદુ તરીકેની હતી તથા તેઓ નક્સલવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા. રાજકારણ ક્ષેત્રે તેમના અનેક વિરોધીઓ હતા અને આ કારણે જ તેમની હત્યા કોણે અને કયા કારણોસર કરી એ અંગે અનેક પ્રશ્નો ઊભા થયાં છે. એવામાં ગૌરી લંકેશની હત્યા બાદ કરવામાં આવેલ ટ્વીટને કારણે વિવાદમાં ઉમેરો થયો હતો.
નિખિલ દધીચનું ટ્વીટ
38 વર્ષીય ગુજરાતના વેપારી નિખિલ દધીચે પણ ગૌરી લંકેશની હત્યા બાદ આવું જ એક ટ્વીટ કર્યું હતું, જો કે વિવાદ વધતાં તેમણે પોતાનું ટ્વીટ ડીલિટ કરી દીધું હતું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, એક કુતિયા કુત્તે કી મોત ક્યા મરી સાલે પિલ્લે એક સુર મેં બિલબિલા ઉઠે.
"આ એક સામાન્ય ટ્વીટ હતું"
સુરતના કપડાના વેપારી અને મૂળ રાજસ્થનના એવા નિખિલ દધીચને પણ ટ્વીટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોલો કરે છે. આ અંગે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં નિખિલ દધીચે કહ્યું હતું કે, એ એક સમાન્ય ટ્વીટ હતું. ગૌરી લંકેશના મૃત્યુ બાદ અનેક લોકોએ હકારાત્મક કે નકારાત્મક ટ્વીટ કર્યા હતા. મેં આ પહેલા ક્યારેય ગૌરી લંકેશનું નામ નહોતું સાંભળ્યું. આ ટ્વીટ કરતાં પહેલાં મારી કોઇ ઓળખાણ નહોતી, પરંતુ લોકોએ મારા ટ્વીટને પોલિટિકલ એંગલ આપી વિવાદ ઊભો કર્યો. આ ટ્વીટ બાદ મને લોકો તરફથી સારા અને ખરાબ એમ બંને પ્રકારના અનુભવો થયા છે.
PM પણ નિખિલને ફોલો કરે છે
ટ્વીટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિખિલને ફોલો કરે છે, આ અંગે વાત કરતાં તેમણે જણા્યું હતું કે, લોકસભાની ચૂંટણી પછીથી હું સોશિયલ મીડિયા પર એક્ટિવ છું. સ્વામી વિવેકાનંદ અને નરેન્દ્ર મોદી મારા આદર્શ છે. નિખિલ દધીચને ટ્વીટર પર પીએમ મોદી ઉપરાંત કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ અને ભાજપના ઉત્તર ગુજરાતના મીડિયા સેલ ઇન-ચાર્જ પરાગ શેઠ પણ ફોલો કરે છે. નિખિલના ટ્વીટ બાદથી તેને ફોલોઅર્સના લિસ્ટમાં 31 હજારથી પણ વધુ લોકો ઉમેરાયા છે.
પરાગ શેઠનું નિવેદન
આ અંગે વાત કરતાં પરાગ શેઠે જણાવ્યું હતું કે, હા, હું એને ફોલો કરું છું, પરંતુ હું ક્યારેય એને મળ્યો પણ નથી, ના તો તે પક્ષમાં કોઇ પદ પર છે. ગૌરી લંકેશ અંગને તેનું ટ્વીટ ચોક્કસપણે આપત્તિજનક હતું અને તેની નિંદા થવી જોઇએ. આ ટ્વીટને કારણે નિખિલ દધીચને અનફોલો કરવા અંગે તેમણે કહ્યું હતું કે, હું એને એનફોલો નહીં કરું, સોશિયલ મીડિયા પર કોઇ વ્યક્તિને બીજો વ્યક્તિ ફોલો કરે એનાથી એને કેરેક્ટર સર્ટિફિકેટ નથી મળી જતું. પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પર ક્યારેય કોઇને બ્લોક નથી કર્યા.