Video: સુરેન્દ્રનગરની સભામાં હોબાળો, શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને લાફો માર્યો
Video: સુરેન્દ્રનગરની સભામાં હોબાળો, અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને લાફો માર્યો
સુરેન્દ્રનગરઃ 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભામાં ચૂંટણી થનાર હોય કોંગ્રેસ અને ભાજપ સહિતના પક્ષે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ સિલસિલામાં હાર્દિક પટેલે આજે સુરેન્દ્રનગરમાં રેલી સંબોધી હતી. સુરેન્દ્રનગરના વઢવાણના બલદાનમાં હાર્દિક પટેલે રેલી યોજી હતી. અહીં જાહેર સભામાં ભારે હોબાળો મચ્યો હતો. સ્ટેજ પર જ આધેડ વયના યુવકે હાર્દિક પટેલને તમાચો ઝીંકી દીધો હતો. આ વ્યક્તિ કોણ છે તે અંગે હજુ જાણી શકાયું નથી.
હાર્દિક પટેલ જ્યારે સ્ટેજ પર આવીને નાગરિકોને સંબોધી રહ્યો હતો ત્યારે કોઈ આધેડ વયનો વ્યક્તિ સ્ટેજ પર આવ્યો અને હાર્દિક પટેલને જાહેરમાં તમાચો ઝીંકી દીધો. લાફો મારનાર વ્યક્તિએ હાર્દિક પર શહીદ થયેલા 14 જેટલા પાટીદારોના મૃત્યુ માટે હાર્દિક પટેલને જવાબદાર ગણાવતાં તેને લાફો ઝીંકી દીધો હતો. કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલે કહ્યું કે આજે બપોરે આ મામલે કોંગ્રેસની બેઠક મળશે અને જવાબદાર સામે જે કરવું પડશે તે કરશું. હિમાંશુભાઈએ આરોપ લગાવ્યો કે આ ભાજપનું કાવતરું છે.
#WATCH Congress leader Hardik Patel slapped during a rally in Surendranagar,Gujarat pic.twitter.com/VqhJVJ7Xc4
— ANI (@ANI) April 19, 2019
હાર્દિક પટેલે કહ્યું કે, ગામના લોકો કહે છે કે સ્થાનિક નથી તો તમે સમજી શકો કે ભાજપના લોકો હાર્દિકને ડરાવવા-ધમકાવવા, મારી નાખવા માટે ભાજપ બધા પ્રયત્નો કરી રહ્યું છે. મેં કીધું કે રેવા દો ભાઈ એને છોડી દો આવા લોકો ભાજપના પૈસા લઈને આવતા હોય છે, ગામના લોકોને પણ કહું છું કે આવા લોકોને છોડી દેજો. વધુમાં હાર્દિકે કહ્યું કે મારી પાસે આવ્યો હોય તો તેણે સવાલ કરવો જોઈએને, આતો લાફો મારી દે. આતો સારું થયું કે તેની પાસે બંદુક નતી નહીતર માને ગોળી પણ મારી દેત તો તેની જવાબદારી કોની?
હાર્દિકે કહ્યું કે ભાજપ નથી ઈચ્છતું કે 25 વર્ષનો છોકરો ચૂંટણી લડે એટલે આવા ધતીંગો કરે છે. ગ્રામજનો અને તંત્રએ પુષ્ટિ કરી કે તમાચો મારનાર આ વ્યક્તિ સુરેન્દ્રનગરનો સ્થાનિક નહોતો તે બહારથી આવ્યો હતો. પોલીસે લોકોના ટોળા વચ્ચેથી આ વ્યક્તિને બચાવીને બહાર લઈ ગઈ છે. લોકોના ટોળાએ હાર્દિકને તમાચો મારનાર વ્યક્તિની પણ ધોલાઈ કરી અને તેના કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. હાર્દિકે તેને માફ કરી દેવાની અપીલ કરતા કહ્યું કે આવા પૈસા લઈને મારવા આવતા લોકો જોડે બબાલ ન કરવી જોઈએ. વ્યક્તિ કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી.
આ પણ વાંચો- ગુજરાતમાં તૂટી શકે છે ભાજપનું 'ફરીથી 26'નું સપનુ, અપાયા માઈક્રો પ્લાનિંગના નિર્દેશ