BAPSના વડા મહંત સ્વામીનો જન્મદિવસ, જાણો તેમની ખાસ વાતો
(માનસી પટેલ) આણંદના બોચાસણમાં બીએપીએસના આધ્યાત્મિક વડા પૂજય મહંત સ્વામીના 84મા જન્મદિવસની ભક્તો તથા સંતો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. બીએપીએસના દેશ વિદેશના મંદિરોમાં પણ આજે વિશેષ સભા આયોજિત કરવામાં આવી છે મહંત સ્વામીના જન્મદિવસની ઉજવણ સાથે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુણાનુવાદનો પણ એક કાર્યક્રમ આયોજિત થશે.
બીએપીએસના મુખ્ય મંદિર બોચાસણ ખાતે નારાયણ બાગમાં મહંત સ્વામીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિશે વિદેશના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેલા તમામ ભક્તોને ચા-નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે મહંત સ્વામી વિષે કેટલીક ખાસ વાતો જાણો અહીં....
મહંત સ્વામી
હાલ પૂજ્ય મહંત સ્વામી જે બીએપીએસના કાર્યને આગળ વધારી રહ્યા છે. મહંત સ્વામીએ જાતે જ સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત પુસ્તિકા "જેવા મેં નીરખ્યા રે"માં લખ્યું હતું કે યોગી બાપા આવતા ત્યારે અમે તો આઘા પાછા થઈ જતા, વળી કોન્વેટ સ્કૂલમાં ભણેલા એટલે હિન્દુ ધર્મ માટે બહુ માન નહી, એકવાર તો યોગી બાપા આવેલાને તે સમયે મને ઠાકોરજીની આરતી ઉતાર્યા બાદ આશ્કા લેવા આપી તે ફૂંક મારીને હોલવી નાખેલી.જોકે આ બધા પછી પણ ધીરે ધીરે શ્રીજી મહારાજ અને સ્વામીનું કાર્ય સમજાયું અને બાદમાં સાધુ થયા'
જન્મદિવસ
બીએપીએસના હાલના આધ્યાત્મિક વડા પૂજય મંહત સ્વામીનો આજે તિથિ પ્રમાણેનો જન્મદિવસ છે ત્યારે સહેજેય તેમની નિર્મળ સાધુતાના પ્રસંગો કંઇક આ મુજબ છે.
કેવી રીતે બન્યા મહંત સ્વામી?
પૂજ્ય પ્રમુખ સ્વામીના અક્ષર નિવાસ બાદ બીએપીએસના છઠ્ઠા વડા તરીકે મહંત સ્વામીની વરણી કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંસ્થાની પરંપરા મુજબ પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયાના ટૂંકા ગાળામાં જ અનુગામીની જાહેરાત કરવામાં આવી હતી.
કોણે આપી દિક્ષા?
મહંત સ્વામીએ ૧૯૫૭માં યોગીજી મહારાજના હસ્તે દિક્ષા લીધી હતી. મહંત સ્વામીનો જન્મ ૧૩મી સપ્ટેમ્બર ૧૯૩૩ના દિવસે જબલપુર મધ્યપ્રદેશમાં થયો હતો.
પરિવાર
તેમના પિતાનું નામ મણિભાઈ અને માતાનું નામ ડાહ્યીબેન હતું. તેઓ મૂળ આણંદના રહેવાસી હતા પરંતુ રોજગાર અર્થે જબલપુર ગયા હતા. મહંત સ્વામીનું પુરુ નામ કેશવ જીવનદાસ છે, પરંતુ તેમના પરિવારના સભ્યો તેમને વિનુ કહીને બોલાવતા હતા. ૧૯૫૭માં વિનુ ભગત બની ગયા હતા. ૧૯૫૧ અને ૧૯૫૨માં તેઓ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા હતા.
મહંત સ્વામીને સોંપાઇ જવાબદારી
2૦૧૩માં જ્યારે બાપાનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે દુનિયાભરના કરોડો હરિભક્તોએ તેમના માટે પ્રાર્થના કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ હતી જેથી મહંત સ્વામીને જવાબદારી સોંપવામાં આવી હતી. પત્ર દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામીને સંતોના પ્રશ્નોના સમાધાનની જવાબદારી સોંપી હતી. પ્રમુખ સ્વામી મહારાજે ૨૦મી જુલાઈ ૨૦૧૨ના દિવસે એક નિયુક્તિ પત્ર લખીને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામીને અનુસરવા કહ્યું હતું. તેમની આજ્ઞા મુજબ મહંત સ્વામીને હવે ગુરુ પરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન કરવામાં આવ્યા અને હાલમાં તેઓ બોચાસણમાં બિરાજમાન છે. અને ભક્તો આજે ઉત્સાહપૂર્વક તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.