સરકાર તમામ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં કોરોના વેક્સિનેશન કેમ્પ યોજશે!
ગુજરાત સહિત દેશમાં જાન્યુઆરી મહિનાથી કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે હવે રાજ્ય સરકારે રાજ્યમાં શાળા કોલેજોમાં વેક્સિનેશન માટે કેમ્પ યોજવાનું આયોજન કર્યુ છે.
ગુજરાત સહિત દેશમાં જાન્યુઆરી મહિનાથી કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે હવે રાજ્ય સરકારે રાજ્યમાં શાળા કોલેજોમાં વેક્સિનેશન માટે કેમ્પ યોજવાનું આયોજન કર્યુ છે. શાળા કોલેજના ૧૮ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ, પાત્રતા ધરાવતા કર્મચારીઓ, શિક્ષકો અને પરિવારજનોને કોરોના વેક્સિનેશન માટે આ કેમ્પ યોજવામાં આવશે.
આગામી શિક્ષક દિવસ એટલે કે પાંચમી સપ્ટેમ્બર સુધીમાં તમામ શિક્ષકોનું કોરોના રસીકરણ કરવાના ભારત સરકારના દિશા નિર્દેશોનો ગુજરાતમા તત્કાળ અમલ કરવા મુખ્યમંત્રીએ આદેશ કર્યા છે. આ માટે જિલ્લાઓમાં વેક્સિનેશન ડોઝનો વધારાનો જથ્થો ફાળવાશે. રાજ્યના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં કોરોના રસીકરણના આ કેમ્પનું આયોજન કરવામાં આવશે.
આવા કેમ્પના આયોજન દ્વારા શાળા-કોલેજોના ૧૮થી ઉપરની વયના વિદ્યાર્થીઓ, રસીકરણ માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓ, શિક્ષકો અને તેમના પરિવારજનોને કોરોના વેક્સિનેશન અંતર્ગત આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને વરિષ્ઠ સચિવોની મળેલી કોર કમિટિની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત સરકારે આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન સુધીમાં બધા જ શિક્ષકોને કોરોના વેક્સિનના સુરક્ષા કવચ અન્વયે આવરી લેવા રાજ્યોને આપેલા દિશા નિર્દેશને પગલે ગુજરાતમાં પણ આ વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ સંદર્ભમાં જણાવ્યું છે કે, શાળા-કોલેજોમાં કોરોના વેક્સિનેશન કેમ્પ માટે જિલ્લાઓને વેક્સિનનો વધારાનો જથ્થો પણ ફાળવવાની સૂચનાઓ કોર કમિટિમાં મુખ્યમંત્રીએ આપી છે.
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં હાલ કોરોનાની બીજી લહેર સંપુર્ણ રીતે થમી ગઈ છે. રાજ્યમાં માંડ ગણતરીના કેસ આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે આગામી 2 સપ્ટેમ્બરથી 6 થી 8 ધોરણના વર્ગો શરૂ કરવા માટે પણ પરવાનગી આપી છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે હવે રાજ્ય સરકાર શિક્ષકો સહિત શાળા સાથે જોડાયેલા કર્મચારીઓની સુરક્ષા માટે વેક્સિનેશનની કામગીરી કરવા જઈ રહી છે. રાજ્યમાં કોરોનાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 કોરોનાના કેસ નોંધાયા છે. 1 દર્દીનું મોત થયુ છે. સૌથી મોટી વાત એ છે કે 27 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રસીની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડ 39 લાખ 78 હજાર 413 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ત્યારે હવે સરકાર આગામી કોરોનાના ખતરાને જોતા શાળાઓમાં કેમ્પ યોજવા જઈ રહી છે.