કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા સંપૂર્ણપણે સજ્જ છે ગુજરાત સરકાર
કોરોની સામે લડવા રાજ્ય સરકાર ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરી રહી છે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેની કેબિનેટ બેઠકની ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સિનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય એ કોરોના સામેની લડતમાં હરહંમેશ પ્રો-એક્ટિવ વલણ અપનાવ્યું છે. દેશના અન્ય રાજ્યો જેવા કે, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ વગેરે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ કેસની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા એક માસમાં રાજ્યમાં એવરેજ 5 થી 10 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ અન્ય રાજ્યોની સરખાણીમાં ગુજરાતમાં ફક્ત 23 છે. ભારતમાં કુલ એક્ટિવ કેસ 3402 છે, જેની સાપેક્ષમાં રાજ્યના એક્ટિવ કેસની સંખ્યા ખુબ જ ઓછી છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના પરામર્શથી રાજ્ય સરકારે કોરોના સામેની લડત માટે પ્રો-એક્ટિવ વલણ દાખવીને સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે.
સમગ્ર રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા શુક્રવારના રોજ એક મોકડ્રિલ યોજવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે યુદ્ધના ધોરણે આ પ્લાન્ટસનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જરૂર પડે તો તેની કેપેસિટી પણ વધારવામાં આવશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોના સામેની લડતમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અંગે જણાવ્યું હતુ કે, રાજ્યની હોસ્પિટલો, પીએચસી અને સીએચસી સેન્ટરમાં કોવિડની ગાઇડલાઇન મુજબ તૈયારી સંદર્ભે શુક્રવારના રોજ તમામ તબીબો, અધિકારીઓ અને સ્ટાફ સાથે રાજ્ય કક્ષાની વીડિયો કોન્ફરન્સ યોજીને જરૂરી તમામ માર્ગદર્શન, સૂચનાઓ આપીને સમીક્ષા કરવામાં આવી હતી.
રાજ્યમાં હાલ કોવિડ-19 અંતર્ગત સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજાર થી વધું બેડની સુવિધાઓ ઉપલબ્ઘ છે. જે 24 કલાકમાં જ કોવિડના દર્દીઓની સારવાર માટે ટ્રાન્સફર કરી શકાય તેમ છે. જેમાં 15 હજાર થી વધુ આઇસીયુ., 9700 વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે.
ઋષિકેશ પટેલે જીનોમ સિકવન્સિંગ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતુ કે, હાલ આરટીપીસીઆર પોઝિટિવ દર્દીનું જીનોમ સિકવન્સિંગ કરવામાં આવે છે. હાલમાં GBRC ગાંધીનગર ખાતે દર મહીને 4 હજારથી વધુ જીનોમ સિકવન્સિંગ ટેસ્ટ કરવાની કેપિસિટી છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં થયેલા કોરોના રસીકરણ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આરંભાયેલા કોરોના રસીકરણ મહાઅભિયાનના પગલે ગુજરાત શરૂઆતથી જ કોરોના રસીકરણની કામગીરીમાં અગ્રેસર રહ્યું છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હાલ ચીન, જાપાન અને અમેરિકા જેવા રાજ્યોમાં BF 7 વેરિએન્ટના કેસ જોવા મળી રહ્યા છે. ભારત અને ગુજરાતમાં આ પ્રકારના જૂજ કેસ જોવા મળ્યા છે. ગુજરાતમાં નોંધાયેલ BF 7 થી સંક્રમિત 3 દર્દીઓ હોમ આઇસોલેસનમાં જ સાજા થઇ ગયા હતા. રાજ્યમાં થયેલા શ્રેષ્ઠ રસીકરણના પરિણામે હાલ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
ઋષિકેશ પટેલે રાજ્યની જનતાને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવરનું સ્વયંભુ રીતે પાલન કરવા તેમજ કોવિડ સંદર્ભે આપવામાં આવનાર સરકારી દિશાનિર્દેશોને અનુસરવા અનુરોધ કર્યો છે.