પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત, શિવ મંદિરોમાં જામી ભક્તોની ભીડ
શ્રાવણના પવિત્ર મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. આ વખતે સોમવારના દિવસે જ શ્રાવણ મહિનાની શરૂઆત થતા શિવાયલોમાં ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ છે.
અમદાવાદઃ શ્રાવણના પવિત્ર મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. આ વખતે સોમવારના દિવસે જ શ્રાવણ મહિનાની શરૂઆત થતા શિવાયલોમાં ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ છે. લોકો ભોળાનાથની પૂજા કરવા અને જ્યોર્તિલિંગના દર્શન કરવા માટે મંદિરોમાં ઉમટી પડ્યા છે. શિવ મંદિરોમાં કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો શિવજીના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ
તમને જણાવી દઈએ કે પવિત્ર શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો પ્રિય મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં લોકો ભગવાન ભોલેનાથની પૂજા તેમજ રૂદ્રાભિષેક કરે, શિવનામના જાપ કરે અને જ્યોર્તિલિંગના દર્શન પણ કરે છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે સવારથી જ રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. લોકો શિવજીની આરાધના અને જલાભિષેક કરતા જોવા મળી રહ્યા છે. ભક્તો શિવજીને બિલિપત્ર પણ અર્પણ કરી રહ્યા છે.
સોમનાથ મંદિરમાં ભક્તોનુ ઘોડાપૂર
ઉલ્લેખનીય છે ગુજરાતમાં સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ છે. કોરોના ગાઈડલાઈન મુજબ ભક્તો શિવજીના દર્શન કરે તે માટે ટ્રસ્ટ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વળી, શ્રાવણ મહિનામાં થતી ભીડને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા ડોમ પણ બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે સોમનાથ મહાદેવ ખાતે પ્રથમ સોમવારે શિવજીને બોરસલ્લીનો શ્રૃંગાર કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ શ્રાવણ મહિનાની શરૂઆતની પૂર્વ સંધ્યાએ સોમનાથ પહોંચ્યા છે અને તેમણે ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજીને સમગ્ર વ્યવસ્થા બાબતે બેઠક યોજી હતી.
શ્રાવણ માસ કષ્ટોમાંથી મુક્તિ અપાવનાર
સૌ કોઈ જાણે છે કે શ્રાવણ મહિનાનો મહિમા અપરંપાર છે. શ્રાવણ માસ કષ્ટોમાંથી મુક્તિ અપાવનાર છે. આ મહિનામાં શ્રદ્ધાપૂર્વક શિવજીની ભક્તિ કરવાથી તમામ દુઃખો દૂર થાય છે. શ્રાવણ મહિનો સુખ, ખુશી અને આર્થિક વૈભવ પ્રદાન કરનાર છે. શિવજીની ભક્તિ કરવાથી શક્તિ, આરોગ્ય અને દરેક પ્રકારનુ સુખ પ્રાપ્ત થાય છે. જે લોકો ઉપવાસ કરતા હોય તેમણે શિવપુરાણ અને શિવચાલીસાના પાઠ કરવા જોઈએ. આમ કરવાથી તેમની દરેક ઈચ્છા પૂરી થાય છે.