IMAએ આપી મેળાવડા પર પ્રતિબંધ મૂકવાની સલાહ
રાજ્ય સરકાર અને જાહેર જનતાને મંગળવારના રોજ જાહેર કરાયેલી એડવાઈઝરીમાં IMAએ જણાવ્યું હતું કે, જાહેર મેળાવડાને પ્રતિબંધિત કરો અને ઉજવણી કરવાનું ટાળો.
ગુજરાત ચેપ્ટર ઓફ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ રાજ્ય સરકાર અને જનતા માટે તેની એડવાઈઝરીમાં કોઈપણ પ્રકારના જાહેર મેળાવડા ટાળવા અને જો આવા મેળાવડાઓનું આયોજન કરવામાં આવે તો લોકોની સંખ્યા મર્યાદિત રાખવા અને પ્રાથમિક વર્ગો માટે ઑફલાઈન શિક્ષણ બંધ કરવા સૂચન કર્યું છે.
રાજ્ય સરકાર અને જાહેર જનતાને મંગળવારના રોજ જાહેર કરાયેલી એડવાઈઝરીમાં IMAએ જણાવ્યું હતું કે, જાહેર મેળાવડાને પ્રતિબંધિત કરો અને ઉજવણી કરવાનું ટાળો. લગ્ન, ધાર્મિક અથવા સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં લોકોની સંખ્યા સ્થળની ક્ષમતાના 25 ટકાથી વધુ ન હોવી જોઈએ, પરંતુ તે જ સમયે બંધ સ્થળ માટે તે 200 થી વધુ વ્યક્તિઓ અને ખુલ્લામાં 300 કરતાં વધુ ન હોવી જોઈએ."
કોઈપણ રમતગમત અથવા ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રેક્ષકો ક્ષમતાના 35 ટકાથી વધુ ન હોવા જોઈએ. રાત્રિના 11 થી સવારે 5 કલાક સુધી નાઇટ કર્ફ્યુનો કડક અમલ કરવો જોઇએ.
તબીબી સંસ્થાએ જણાવ્યું હતું કે, આરોગ્ય નિષ્ણાતોના પ્રતિસાદ અને અનુભવના આધારે અને વિચાર-વિમર્શ પછી, આ નવા કોવિડ વેરિઅન્ટના સંક્રમણ રેટને રોકવા માટે આપણે આગામી થોડા અઠવાડિયામાં વધુ સાવચેત રહેવાની જરૂર છે.
કોરોના સંક્રમણના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને એડવાઈઝરીએ સૂચન કર્યું છે કે, પ્રાથમિક વર્ગો માટે ઓફલાઈન વર્ગો બંધ કરવા જોઈએ, જ્યારે બાકીના વર્ગો બે પાળીમાં અથવા ઓડ ઈવન ફોર્મ્યુલાને અનુસરીને ચલાવી શકાય છે'.
આ ઉપરાંત તમામ વિદેશી પ્રવાસીઓ માટે આગમન પર RT PCR પરીક્ષણો હાથ ધરવા જોઈએ, તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે એક ક્વોરેન્ટાઇન નીતિ અને પોઝિટિવ દર્દીઓનું ટ્રેકિંગ અને પરીક્ષણ વધુ કડક હોવું જોઈએ.