પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજય સરકાર દ્વારા એક જ દિવસમાં રૂ.૭૮.૬૨ કરોડની ફાળવણી કરાઇ
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત એક જ દિવસમાં ૧૦,૨૫૭ લાભાર્થીઓને લાભ મળ્યો છે. જાણો વિગત.
ગાંધીનગરઃ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત એક જ દિવસમાં ૧૦,૨૫૭ લાભાર્થીઓને વિવિધ તબક્કામાં એક સાથે ૧૩,૪૦૧ હપ્તાઓની રૂ.૭૮.૬૨ કરોડની સહાય DBT મારફતે સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ઘર વિહોણા તમામ નાગરિકોના માથે પાક્કી છત એટલે કે પાકા આવાસ ઉપલબ્ધ કરાવીને જીવનધોરણ ઊંચુ લાવવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં નવા આવાસો તૈયાર કરીને ઘરવિહોણા નાગરિકોને ઘર આપીને તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યુ છે.
રાજ્યના લાખો નાગરિકો પોતાના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ લાભ મેળવતા હોય છે. જે અંતર્ગત BLC (બેનેફિશ્યરી લીડ કન્સ્ટ્રકશન) ઘટક હેઠળ રાજયના મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિવિધ સત્તામંડળ વિસ્તારમાં પોતાની માલિકીની જમીન પર આવાસ બાંધકામ માટે રાજય સરકાર દ્વારા લાભાર્થીઓને કુલ ૬ હપ્તાઓમાં રૂ.૩.૫૦ લાખની સહાય ફાળવવામાં આવે છે. જે અંતર્ગત એક જ દિવસમાં ૧૦,૨૫૭ લાભાર્થીઓને વિવિધ તબક્કામાં એક સાથે ૧૩,૪૦૧ હપ્તાઓની રૂ.૭૮.૬૨ કરોડની સહાય DBT મારફતે સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે તેમ યાદીમાં વધુમાં જણાવાયુ છે.