વાત અમેરિકા જવાના સપનાની, મોત ભેટ્યો એક આખો પરિવાર
આ વાત છે ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામમાં રહેતા ચાર સભ્યના પરિવારની. જેમાં એક દંપતી અને તેમના બે બાળકો કેનેડામાંથી કથિત ગેરકાયદેસર રીતે યુએસ જવાનો પ્રયાસ કરતા સમયે મૃત્યુ પામ્યા હતા.
ડીંગુચા : ગુણવત્તાયુક્ત નોકરીની તકોનો અભાવ ગુજરાતના આ ગામડાના રહેવાસીઓને વધુ સારા ભવિષ્ય માટે યુએસ અને અન્ય વિકસિત દેશોમાં સ્થળાંતર કરવાના તેમના સપનાને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે અને તે આગ્રહ એટલો પ્રબળ છે કે, તેમાંથી કેટલાકને ગેરકાયદેસર માર્ગ અપનાવવામાં પણ વાંધો નથી. તેઓ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જીવનને પણ જોખમમાં મૂકે છે.
એક પરિવાર કેનેડામાંથી કથિત ગેરકાયદેસર રીતે યુએસ જવાનો પ્રયાસ કરતા સમયે મૃત્યુ પામ્યા
આ વાત છે ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામમાં રહેતા ચાર સભ્યના પરિવારની. જેમાં એક દંપતી અને તેમના બે બાળકો કેનેડામાંથી કથિત ગેરકાયદેસર રીતે યુએસ જવાનો પ્રયાસ કરતા સમયે મૃત્યુ પામ્યા હતા. જે કારણે તેઓ આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સમાં છે. એવું માનવામાં આવે છે કે, આ પરિવાર ડીંગુચા ગામનો છે, જો કે હજૂ સુધી આ અંગે કોઈ માહિતી મળી નથી.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, ડીંગુચા ગામના લોકો મોટી સંખ્યામાં વિદેશમાં મુખ્યત્વે યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે અને તેઓએ ગામમાં પંચાયતની ઇમારત, શાળા, મંદિર, આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હોલના બાંધકામ માટે ઉદારતાથી પૈસા દાનમાં આપ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે, ઘણા લોકો વધુ સારી તકોની શોધમાં વિદેશ જવાની તક શોધી રહ્યા છે. ડીંગુચામાં પ્રવેશતા જ વ્યક્તિને ગામડામાં નહીં પણ નગરમાં હોવાનો અહેસાસ થાય છે. ડીંગુચા ખાતેની પંચાયત બિલ્ડિંગની આજુબાજુ દિવાલ પેઇન્ટિંગની જાહેરાત આ દેશોની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે જરૂરી અંગ્રેજી પ્રાવીણ્ય કસોટી (IELTS) સાથે અથવા તેના વિના યુકે અથવા કેનેડાની યુનિવર્સિટીમાં નોંધણીનું વચન આપે છે.
અમદાવાદથી લગભગ 40 કિમી દૂર આવેલા ગામમાં "કેનેડા અને યુએસમાં અભ્યાસ" વિશેના કેટલાક અન્ય હોર્ડિંગ્સ ગામના યુવાનોને લક્ષ્યાંકિત કરે છે, જેઓ હંમેશા સારી તકોની શોધમાં વિદેશ જવાનું સ્વપ્ન જુએ છે.
60ના દાયકાના અંતમાં એક વ્યક્તિ કે, જેઓ પોતાના પરિવારને ત્યાં લઈ જતા પહેલા 33 વર્ષ પહેલાં યુએસમાં સ્થળાંતર કરી ગયા હતા તેવા અમૃત પટેલે જણાવ્યું હતું કે, અહીં તકોનો અભાવ છે, જે લોકોને વિદેશ જવા માટે પ્રેરિત કરે છે.
પોતાના પુત્ર સાથે યુએસમાં બાલ્ટીમોર નજીક એક રેસ્ટોરન્ટ ચલાવે છે અને તેમની ત્રણ દીકરીઓ પણ ત્યાં પરણેલી છે તેવા અમૃત પટેલ જણાવે છે કે, માત્ર ડીંગુચા નહીં, હું આખા ગુજરાતની વાત કરીશ. લોકોને તેમના શિક્ષણને અનુરૂપ પગાર મળતો નથી, તો તેઓ વિચારે છે કે, શા માટે વિદેશમાં જઈને વધુ કમાણી ન કરીએ?
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામના એક પરિણીત યુગલ અને તેમના બે બાળકો, જેઓ તાજેતરમાં વિઝિટર વિઝા પર કેનેડા ગયા હતા, તેઓ ગુમ થઈ ગયા છે. ગ્રામજનોને લાગે છે કે, તેઓ એ જ કુટુંબ હોય શકે છે, જેઓ કેનેડા મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેમની ઓળખ અંગે હજૂ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
"લોકો યુએસ અથવા કેનેડામાં તકો શોધી રહ્યા છે, કારણ કે અહીં તકોનો અભાવ છે. દરેક જણ કાયદેસર રીતે વિદેશ જઈ શકતું નથી, તેથી તેઓ ગેરકાયદેસર રીતે પ્રવેશવાના રસ્તાઓ શોધી રહ્યા છે. કંઈક એવી જ રીતે જેવી રીતે આ દુર્ભાગ્યપૂર્ણ યુગલ જેઓ તેમના બાળકો સાથે કરી રહ્યા હતા.
અમૃત પટેલે જણાવ્યું હતું કે, યુએસ અથવા કેનેડામાં ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરવા માટે, બધાને એનઆરઆઈ (બિન નિવાસી ભારતીય) સમુદાય વચ્ચે મજબૂત જોડાણની જરૂર છે. વિદેશ જવા માટે તમારે સમૃદ્ધ હોવું જરૂરી નથી. હકીકતમાં સમૃદ્ધ લોકોએ આટલું જોખમ લઈને તકોની શોધમાં વિદેશ જવાની જરૂર નથી. જો તમે આર્થિક રીતે નબળા હો, તો ત્યાં સ્થાયી થયેલા સંબંધીઓ અને મિત્રો પૈસાની મદદ કરશે. તેઓ તમારી મુસાફરીની સુવિધા માટે લાખો રૂપિયા આપી શકે છે.
ગત અઠવાડિયે યુએસ-કેનેડા બોર્ડર પર એક પરિવારના ચાર સભ્યોના મૃતદેહો સ્થિર મળી આવ્યા હોવાના સમાચાર અહીં પહોંચ્યા ત્યારથી ગામમાં અરેરાટીની લાગણી ફેલાઈ ગઈ છે. ગામના તલાટી (મહેસુલ અધિકારી) જયેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જગદીશ પટેલ, તેમની પત્ની અને તેમના બે બાળકો, જેઓ ગુમ થયા છે, તેઓ મર્યાદિત જમીન ધરાવતા ખેડૂતોના સરેરાશ મધ્યમવર્ગીય પરિવારના છે અને તેઓ તાજેતરમાં વિઝિટર વિઝા પર કેનેડા જવા રવાના થયા હતા.
જયેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જગદીશ પટેલ ડીંગુચાના વતની છે. તેમના માતા-પિતા ગામમાં રહેતા હતા, જ્યારે તેઓ નજીકના કલોલ શહેરમાં રહેતા હતા. લગભગ બે વર્ષ પહેલાં, કોવિડ 19 રોગચાળા દરમિયાન, તેઓ તેમના પરિવાર સાથે ગામમાં સ્થળાંતર થયા હતા. ત્રણથી ચાર મહિનાઓ પહેલા, તે ફરીથી કલોલ જવા નીકળ્યા હતા.
તેમના સંબંધીઓના જણાવ્યા મુજબ જગદીશ પટેલ તેમના પિતાને ખેતીમાં મદદ કરતા હતા અને થોડા સમય માટે એક શાળામાં પણ કામ કર્યું હતું. જયેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તે દિવાળીના તહેવાર દરમિયાન થોડા સમય માટે કલોલમાં કપડાં વેચતો હતો.
એક શિશુ સહિત દંપતી અને તેમના બે બાળકોની ઓળખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી
કેનેડા મારફતે ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ પામેલા એક શિશુ સહિત દંપતી અને તેમના બે બાળકોની ઓળખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સત્તાવાળાઓ તરફથી સત્તાવાર સંદેશાવ્યવહારની ગેરહાજરીમાં, ન તો પરિવારના સભ્યો કે ગ્રામજનો મૃત વ્યક્તિઓ જગદીશ પટેલ, તેમની પત્ની વૈશાલી અને તેમના બે બાળકો હોવાની શક્યતાને સંપૂર્ણ રીતે નકારી શકતા નથી.
મને ખબર ન હતી કે તેઓ વિદેશ જતા રહ્યા છે.
ગામમાં રહેતા તેમના પિતરાઈ ભાઈ જસવંત પટેલે જણાવ્યું હતું કે, મને ખબર ન હતી કે તેઓ વિદેશ જતા રહ્યા છે. જ્યારે તેઓ ગયાના થોડા દિવસો પહેલા હું મારા પિતરાઈ ભાઈને છેલ્લે મળ્યો, ત્યારે તેણે કહ્યું કે, તેણે વિઝિટર વિઝા મેળવ્યા છે અને તેની પત્ની અને બાળકો સાથે કેનેડા જઈ રહ્યો છે. જે બાદ અમે તેમનો સંપર્ક કરી શક્યા નથી. ગયા અઠવાડિયે આ સમાચાર અમારા સુધી પહોંચ્યા હતા.
અહેવાલો અનુસાર, ચાર સભ્યોના પરિવારે સાત અન્ય લોકો સાથે યુએસ-કેનેડા સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેઓ યુએસ સત્તાવાળાઓએ પકડ્યા હતા. જો કે, આ ચારેય સરહદ સુધી પહોંચી શક્યા ન હતા અને અધવચ્ચે જ મૃત્યુ પામ્યા હતા.