વજુભાઈ વાળાનો હુંકાર, રાજનીતિમાંથી નિવૃતિ લેવાનો કોઈ સવાલ જ નથી
ગુજરાતના રાજકારણમાં ફરીથી ઉથલ પાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. વિધાનસભાના અધ્યક્ષમાંથી કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવેલા વજુભાઈ વાળા રાજ્યપાલનો કાર્યકાળ પુરો કર્યા બાદ હવે ગુજરાતમાં સક્રિય થતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.
ગુજરાતના રાજકારણમાં ફરીથી ઉથલ પાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. વિધાનસભાના અધ્યક્ષમાંથી કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવેલા વજુભાઈ વાળા રાજ્યપાલનો કાર્યકાળ પુરો કર્યા બાદ હવે ગુજરાતમાં સક્રિય થતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. વજુભાઈનું ગુજરાતની રાજનીતિમાં મોટુ નામ છે ત્યારે તેમની ગુજરાતમાં સક્રિયતા અનેક નવા સમીકરણો રચી શકે છે.
કર્ણાટકના રાજ્યપાલ પદેથી કાર્યકાળ પુરો થતા વજુભાઈ વાળાની સક્રિયતાને લઈને સતત ચર્ચા થઈ રહી હતી. અટકળો હતી કે વજુભાઈ હવે રાજનીતિમાંથી સન્યાસ લેશે, પરંતુ હવે તેને ફરીથી હુંકાર ભરી રાજનીતિમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. બીજી તરફ વજુભાઈએ એ પણ સાફ કર્યુ છે કે, રાજકારણમાં હું હંમેશાં સક્રિય રહેવાનો છું. રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ સવાલ જ નથી. વિજય રૂપાણી યોગ્ય કામ કરી રહ્યા છે. તેઓ હાલ દરેક સમાજને સાથે લઈને ચાલે છે. કારડિયા રાજપૂત કે અન્ય કોઈ સમાજને અન્યાય થયો હોવાનો સવાલ જ નથી. આ ઉપરાંત તેમણે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. વજુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણીમાં પક્ષના હું કાર્યકર તરીકે કામ કરીને બે-તૃતીયાંશ બહુમતી માટે મહેનત કરીશ. હું સત્તામાં નહીં, સંગઠનમાં કામ કરીશ.
એક તરફ પાટીદારો એક થઈ રહ્યા છે ત્યારે વજુભાઈને કારડીયા રાજપુત સમાનને એક કરવાનું કામ સોંપાયુ હોવાની રાજકીય ચર્ચા છે. જેને લઈને વજુવાળાએ પાટીદાર સમાજની જેમ જ ખોડલ ધામ જેવા ભવાની માતાના મંદિરનું નિર્માણ કરવાની વાત કરી છે. વજુભાઈ વાળાએ હુંકાર ભરતા આ વાત જણાવી હતી. આ અંગે વજુભાઇએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર પાસે ખોડલધામ જેવું 35 એકરમાં કારડિયા રાજપૂતના કુળદેવી ભવાની માતાજીના મંદિરનું નિર્માણ થશે. ગઈકાલે અમારી મંદિર અંગેની બેઠક મળી હતી અને તેમાં મંદિર નિર્માણની ચર્ચા થઈ હતી.
એક તરફ વજુભાઈની સક્રિયતા તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર, કારડિયા રાજપૂત સમાજની વિવિધ પેટાજ્ઞાતિઓ સાથે બેઠકો યોજી ભવાની માતાજીના મંદિર માટે સહમતી બાદ મંદિર માટે અમદાવાદ હાઈવે ઉપર દર્શન હોટલ સામે ખરીદવામાં આવેલી જમીન ઉપર જ સમસ્ત કારડિયા રાજપૂત સમાજનું એક વિશાળ સંમેલન યોજવાનું આયોજન છે. આગામી જાન્યુઆરી-2022 આસપાસ યોજાનારા આ સંમેલનમાં કારડિયા રાજપૂત સમાજ પોતાની રાજકીય દિશા નક્કી કરે તેવી સંભાવના છે.
ઉલ્લેખનિય છે કે, નિર્માણ થનાર આ મંદિરને સોમનાથ જેવુ ભવ્ય બનાવાનું આયોજન છે. આ અંગે નાડોદા રાજપૂત સમાજના પ્રમુખ માવજીભાઈ ડોડિયાએ જણાવ્યું કે, રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી દર્શન હોટલ પાસે ભવાની માતાજીનું મંદિર બનશે. સમાજના આગેવાનોએ વજુભાઈ વાળા સાથે બેઠક કરી હતી. દરેક સમાજના મંદિરની જેમ અમારા સમાજનું પણ મોટું મંદિર 40 વીઘા જેટલી જમીનમાં બનશે. અમારું ભવ્ય મંદિર બને એવી વજુભાઈ વાળાની કલ્પના હતી. આ મંદિર સોમનાથ જેવું બનશે, જેમાં અંદાજિત 100 કરોડનો ખર્ચ થશે. આ મંદિર દરેક સમાજ માટે હશે.