આ 10 મુદ્દાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની દિશા નક્કી કરશે, મોરબી પુલ દુર્ઘટના પણ મોટો મુદ્દો!
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વર્તમાન બીજેપી સરકારને કડી ટક્કર આપી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પર હવે ધીરે ધીરે મેદાનમાં આવી રહી છે.
ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વર્તમાન બીજેપી સરકારને કડી ટક્કર આપી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પર હવે ધીરે ધીરે મેદાનમાં આવી રહી છે ત્યારે હવે ચૂંટણીમાં વિવિધ મુદ્દાઓ ઉછળી રહ્યા છે. આજે આપણે એ મુદ્દાની વાત કરવાના છીએ, જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કેન્દ્રમાં રહેશે.

એન્ટી ઇન્કમ્બન્સી
1998થી સત્તામાં રહેલા ભાજપના 24 વર્ષના શાસનને કારણે સમાજના વર્ગોમાં અસંતોષનો માહોલ છે. રાજકીય નિરીક્ષકોનું માનીએ તો, મોંઘવારી, બેરોજગારી અને જીવનને લગતા પાયાના પ્રશ્નો ભાજપના આટલા વર્ષોના શાસન પછી પણ વણઉકેલ્યા છે.

પેપર લીક અને સરકારી ભરતીમાં કૌભાંડ
વારંવાર પેપર લીક અને સરકારી ભરતી પરીક્ષાઓ મુલતવી રાખવાથી સરકારી નોકરીઓ મેળવવા માટે સખત મહેનત કરતા યુવાનોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે યુવાનોમાં ભારે રોષનો માહોલ છે. આ મુદ્દો ચૂંટણીની દિશા ફેરવી શકે તેમ છે.

નબળુ શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓનો અભાવ
ગ્રામ્ય વિસ્તારોમાં શાળાના વર્ગખંડો અને શિક્ષકોની અછત છે. શિક્ષકોની ભરતી થાય તો પણ વર્ગખંડના અભાવને કારણે બાળકોએ બહાર બેસવુ પડે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ડોકટરોનો અભાવ પણ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ નબળી હોવાનું પુરવાર કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગુજરાત પીએમ મોદીનું ગૃહરાજ્ય છે અને તેને બચાવવુ ભાજપ માટે પ્રાણ પ્રશ્ન છે. બીજી તરફ ભાજપ માટે પણ પીએમ મોદી ટ્રમ્પ કાર્ડ છે. ગુજરાતમાં 14 વર્ષ શાસન કર્યા બાદ પણ હજુ એટલી જ લોકપ્રિયતા જોવા મળી રહી છે. આગામી ચૂંટણીમાં પીએમ મોદીની લોકપ્રિયતા પણ એક મહત્વનો મુદ્દો રહશે.

બિલ્કીસ બાનોના દોષિતોને માફી
ગુજરાત પહેલેથી જ સંઘ પરિવાર માટે હિન્દુત્વની પ્રયોગશાળા રહ્યું છે. બિલ્કીસ બાનો ગેંગરેપ અને હત્યા કેસના દોષિતોને સજા માફીની અસર બહુમતી અને લઘુમતી સમુદાયો પર અલગ રીતે જોવા મળશે. મુસ્લિમો બિલ્કીસ બાનો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે જ્યારે હિન્દુઓનો એક વર્ગ આ મુદ્દાને અવગણી રહ્યો છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના
30 ઓક્ટોબરે મોરબીમાં 135 લોકોના જીવ લેનાર પુલ તૂટી પડવાથી વહીવટીતંત્ર અને ઉદ્યોગપતિઓ વચ્ચેની સાંઠગાંઠ સામે આવી છે. આગામી ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દો જોરથી ઉઠશે તે નિશ્ચિત છે. આ મુદ્દે સરકારને નુકસાન થઈ શકે છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ગુજરાત અગાઉ તેના સારા રસ્તાઓ માટે જાણીતું હતું. જો કે છેલ્લા પાંચ-છ વર્ષમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા સારા રસ્તાઓ બનાવી શકી નથી અને જૂના રસ્તાઓની જાળવણી કરી શકી નથી. રાજ્યભરમાંથી ખાડાવાળા રસ્તાઓની ફરિયાદો આમ બની ગઈ છે.

વીજળીના ભાવમાં વધારો
દેશમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં છે. બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દર મહિને 300 યુનિટ મફત આપવાનો વાયદો કર્યો છે. આ સિવાય ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ પણ તાજેતરમાં વાણિજ્યિક વીજળીના દરમાં ઘટાડો કરવાની માગણી કરી હતી.હાલ રાજ્યમાં ઉદ્યોગોએ યુનિટ દીઠ 7.50 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે મહારાષ્ટ્ર અને તેલંગાણામાં આ ભાવ યુનિટ દીઠ 4 રૂપિયા છે.

જમીન સંપાદન
ગુજરાતમાં જમીન સંપાદનને લઈને મોટો વિરોધ જોવા મળ્યો છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં મોટો રોષ છે. ખેડૂતો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનો પણ વિરોધ કરી રહ્યા છે.

ખેડૂતોના પ્રશ્નો
રાજ્યના ઘણા ભાગોમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં અતિવૃષ્ટિને કારણે પાકના નુકસાન માટે તેમને વળતર આપવામાં આવ્યું નથી. પાક વીમાનો મુદ્દો પણ અસર કરી શકે છે.












Click it and Unblock the Notifications
