અમદાવાદઃ દરેક જરૂરતમંદને અપાશે શૌચાલય સહાય
નીતિન પટેલે જણાવ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકાએ વ્યક્તિગત શૌચાલય સહાય યોજના હેઠળ વર્ષ 2013-14 અને 2014-15માં તા 30/09/2014ની સ્થિતિએ કુલ 16690 શૌચાલયો માટે 1335.20 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તે પૈકી 10 હજાર શૌચાલયોની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ નિર્મળ ભારતના નિર્માણ માટે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. રાજ્ય સરકારે પણ આ બાબતે ખાસ ધ્યાન આપી કામગીરી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે શૌચાલય વિહોણા તમામ ઘરોમાં શૌચાલય બંધાય એ માટે રાજ્ય સરકારે વ્યક્તિગત શૌચાલય યોજના અમલમાં મુકી છે. જે યોજના હેઠળ શહેરી વિસ્તારમાં વ્યક્તિગત ધોરણે શૌચાલય બાંધવા માટે રાજ્ય સરકાર દ્વારા 8 હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવે છે.