ગુજરાતમાં 7જૂનથી શરૂ થશે માલધારીઓ માટેની ટોલફ્રી હેલ્પલાઇન
અમદાવાદ, 6 જૂન : એક સ્થળેથી બીજા સ્થળે સ્થળે પશુધનને સાથે લઇને રોજગારી અને અન્નની શોધમાં ફરતા રહેતા માલધારીઓનું જીવન અનન્ય છે. આજના સમયમાં માલધારીઓ માટે આજીવિકા મેળવવાનું કઠિન બન્યું છે. પશુધનને સાચવવાની અને આજીવિકા મેળવવાની વિશિષ્ટ પરંપરા ધરાવનારા માલધારી સમાજને માટે ઉપયોગી બને તેવી ટોલફ્રી હેલ્પલાઇન ગુજરાતમાં શરૂ થવાની છે. આ સેવા 7 જૂનથી શરૂ થવાની છે.
ગુજરાતમાં 7 જૂને પાટણના કિર્તિવાન ગોપાલક છાત્રાલય ખાતે મળી રહેલી પાંચમી ગુજરાત માધરારી સંસદમાં લોન્ચ કરવામાં આવનારી છે. આ સંસદમાં ભાર લેવા માટે ગુજરાતભરમાંથી 2000 જેટલા માલધારીઓ એકત્ર થવાના છે.
માલધારીઓ માટે વિશેષ હેલ્પલાઇન સેવા ગુજરાતની મારગ નામની એનજીઓ શરૂ કરી રહી છે. આ હેલ્પલાઇન શરૂ કરવાનો મૂળ હેતુ માલધારીઓને વ્યવસાયમાં મુંઝવતા પ્રશ્નો માટે મોબાઇલની મદદથી નિ:શુલ્ક માહિતી અને માર્ગદર્શન આપવાનો છે.
આધુનિક યુગમાં પશુપાલનને ટકાવવું અઘરું બની રહ્યું છે. આપણા દેશના અનેક પરિવારોની આવકનું મુખ્ય સાધન પશુપાલન છે. પશુપાલકો સામે દિનપ્રતિદિન વધતા જતા પડકારોને કારણે તેમની સમસ્યાઓમાં પણ વધારો થયો છે. હેલ્પલાઇનનું નેટવર્ક વિવિધ વિસ્તારોમાં માલધારી સંગઠનો બનાવીને તેમને જોડીને ઉભું કરવામાં આવશે.