મક્કામાં ટ્રાવેલ્સ સંચાલક નાસી છૂટતાં યાત્રીઓ રઝળી પડ્યાં..
સુરતનો રોયલ ટ્રાવેલ્સનો સંચાલક મક્કામાં યાત્રીઓને રઝળતાં મુકી નાસી છૂટ્યો હતો.
સુરતના ટ્રાવેલ્સનો સંચાલક રમઝાન મહિનામાં ઉમરાહ કરવા ગયેલા યાત્રીઓને અધવચ્ચે મક્કામાં છોડીને ભાગી ગયો હોવાનો યાત્રીઓએ આક્ષેપ કર્યો છે. આ બનાવ બાદ મક્કામાં યાત્રીઓની હાલત કફોડી બની હતી, યાત્રીઓએ બે દિવસ સુધી ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, સાઉદીની સરકાર આ રખડી પડેલા યાત્રીઓની મદદે આવી હતી. સરકારે દ્વારા તેમને રહેવાની અને ખાવાની સગવડ કરી આપવામાં આવી હતી. તેમજ મોડી રાત્રે યાત્રીઓને પાસપોર્ટ પણ આપી દેવામાં આવ્યા હતા.
રોયલ ટ્રાવેલ્સના સંચાલકે સુરતથી ઉમરાહની ટૂર ઉપાડી હતી. સંચાલક પોતે પણ ટુરમાં હાજર હતો. જો કે, ટૂરના છેલ્લા બે દિવસ દરમિયાન તે યાત્રીઓને રામ ભરોસે છોડીને ગુમ થઇ ગયો હતો. 90,000થી માંડીને 1.12 લાખનું પેકેજ આપીને યાત્રીઓએ રમઝાનમાં ઉમરાહ માટે નીકળ્યા હતા. જ્યારે યાત્રીઓના પરિવારજનોને આ અંગે જાણ થતાં તેમણે આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ટ્રાવેલ્સના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.