મુખ્યમંત્રીના સલાહકાર તરીકે બે નિવૃત અધિકારીઓની નિમણૂંક, જાણો કોણ છે આ અધિકારીઓ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે.
ગાંધીનગર : ગુજરાતમાં રેકોર્ડ બ્રેક જીત સાથે બીજેપીએ સરકાર બનાવી છે ત્યારે હવે રાજ્ય સરકારે બે નિવૃત અધિકારીઓની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂક કરી છે. રાજ્ય સરકારે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાને મુખ્યમંત્રીશ્રી મુખ્ય સલાહકાર અને ગુજરાત રાજ્ય માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ.રાઠૌરને મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂક આપી છે.

માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે.
ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી 20 નવેમ્બર 2018ના રોજ નિવૃત્ત થયા હતા. હાલ તેઓ બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. આ સિવાય તેઓ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે.
ડૉ. હસમુખ અઢિયા હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરીંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે. તેઓ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા તો અન્ય આદેશો ન થાય ત્યાં સુધી સેવા આપશે.
આ સિવાય સલાહકાર તરીકે નિમાયેલા સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે. તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.
એસ.એસ. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે.












Click it and Unblock the Notifications
