વડોદરા : ચાણોદ અને કરનાળીમાં આવેલા ત્રિવેણી સંગમમાં નવા નીરના વધામણા
વડોદરા જિલ્લામાં તળાવો સારા વરસાદને કારણે પાણીથી છલોછલ ભરાવા લાગ્યા છે. આ સાથે ચાણોદ અને કરનાળીમાં આવેલા ત્રિવેણી સંગમમાં પણ વરસાદને પગલે નવા નીર આવ્યા છે.
Rain News : વડોદરા જિલ્લામાં તળાવો સારા વરસાદને કારણે પાણીથી છલોછલ ભરાવા લાગ્યા છે. આ સાથે ચાણોદ અને કરનાળીમાં આવેલા ત્રિવેણી સંગમમાં પણ વરસાદને પગલે નવા નીર આવ્યા છે. જે કારણે સ્થાનિક લોકોએ નીરના વધામણા કરી બારેમાસ પાણીથી છલોછલ ભરાયેલા રહે તેવી પ્રાર્થના કરી હતી.
આગામી 3 દિવસ દરમિયાન વરસાદની આગાહી
કેટલાક સમયથી સુકાઇ ગયેલી નર્મદા નદીને કારણે નાવિકો પણ ચિંતામાં હતા. જે બાદ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીમાં નવા નીર આવતા ચાણોદ અને કરનાળીના લોકોએ વધામણા કર્યા હતા. હાલ સમગ્ર ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન વરસાદની આગાહી છે. આ સાથે સારા વરસાદના પગલે ગુજરાત તેમજ ઉપરવાસમાં આવેલા જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે, તો કેટલાક જળાશયો ઓવરફ્લો પણ થઇ રહ્યા છે.
ચાણોદ ગામ નજીક ત્રિવેણી સંગમ આવેલો છે
વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના ચાણોદ ગામ નજીક ત્રિવેણી સંગમ આવેલો છે. વરસાદને કારણે નર્મદા નદીના તટ વિસ્તારમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. આ સાથે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઓરસંગ અને હેરંગ નદીનું પાણી પણ નર્મદા નદીમાં આવી રહ્યું છે.
ત્રિવેણી સંગમ ખાતે નર્મદા, ઓરસંગ અને હેરંગ નદીનું મિલન
ઉલ્લેખનીય છે કે આ ત્રિવેણી સંગમ ખાતે નર્મદા, ઓરસંગ અને હેરંગ નદીનું મિલન થાય છે. લોકો પિત્રૃઓના તર્પણ માટે અહીં ધાર્મિક વિધિ અનુસાર પિડદાન કરીને ત્રિવેણી સંગમમાં પિત્રૃ શ્રાદ્ધ અર્પણ કરે છે.