પાટણ જિલ્લામાં 21.40 લાખ રોપાઓ ઉછેરવાનો વન મહોત્સવમાં લેવાયો સંકલ્પ
પાટણ જિલ્લામાં 21.40 લાખ રોપાઓ ઉછેરવાનો વન મહોત્સવમાં લેવાયો સંકલ્પ
પાટણ જિલ્લામાં ૭૩મા જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી રિઝઓનલ સાયન્સ સેન્ટર ચોરમારપુરા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાના આ 73માં વન મહોત્સવમાં 21.47 લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લામાં જંગલની જમીન તેમજ જંગલ સિવાયની જમીનમાં વૃક્ષનું પ્રમાણ વધે તે માટે ચાલુ વર્ષે ખાતાકીય વાવેતર તેમજ વન મહોત્સવ થકી અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વિવિધ યોજનાઓ હેઠળ જંગલ વિસ્તારમાં તેમજ જંગલ સિવાયના બહારના વિસ્તાર જેવા કે ગૌચર, સ્વૈછિક સંસ્થા, સ્મશાન ભૂમિ, ખેડૂતોની જમીન તેમજ રોડ વિસ્તારના બારસો હેકટરમાં બાર લાખ જેટલા રોપાઓનુ વાવેતર ચાલુ ચોમાસામાં કરવામાં આવશે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું લૂખાશન ગામે 10 લાખના ખર્ચે એક પવિત્ર ઉપવન બનાવવામાં આવશે.
પાટણ જિલ્લામાં વન મહોત્સવ યોજના અંતર્ગત ચાલુ વર્ષે ૭૩મા વન મહોત્સવ અંતર્ગત 21.40 લાખ રોપા પોલીથીન બેગમાં ઉછેરવામાં આવેલ છે. જે રોપાઓને ગ્રામ પંચાયતો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ખેડુતો તેમજ લોકોને વિતરણ કરવામાં આવશે. ફાર્મ ફોરેસ્ટ્રી, વૃક્ષ ખેતી યોજના તથા એગ્રો ફોરેસ્ટ્રી મોડલ યોજના હેઠળ ખેડૂતોના ખેતરમાં અને શેઢે વૃક્ષ વાવેતર યોજનાના લાભાર્થીઓના ખેતરમાં 466 હેક્ટરમાં 4.25 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે.