વિશ્વભરનું કૃષિજ્ઞાન ગુજરાતના ખેડૂતોને મળશે ઘર આંગણે
ગાંધીનગર, 7 સપ્ટેમ્બર: ગુજરાતની કૃષિ ક્રાંતિને સમગ્ર દેશ જ નહી, વિશ્વ પણ બિરદાવે છે. આનું કારણ એ છે કે, ગુજરાત વૈશ્વિક વિકાસ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરે છે. આ પ્રયાસોનું પરીણામ જે મળે છે તે વિકાસની નૂતન દિશા ખોલી આપે છે. જે અન્ય માટે પ્રેરણાસ્રોત બને છે. આવો જ એક સંનિષ્ઠ પ્રયાસ ગુજરાતના આંગણે થયો છે ‘‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમીટ-ર૦૧૩'' દ્વારા આગામી તા. ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમીટને કારણે વિશ્વભરનું કૃષિજ્ઞાન ગુજરાતના ખેડૂતો ઘરઆંગણે મેળવી શકશે.
નરેન્દ્ર મોદીએ કૃષિ પ્રવૃત્તિને રાજ્યના વિકાસની ધરોહર સમજી છે અને એટલે જ ‘‘લેબ ટુ લેન્ડ''ના મંત્ર સાથે તેમણે કૃષિજ્ઞાનને કૃષિ યુનિવર્સિટીથી ખેતરો સુધી પહોંચાડવાની ઝુંબેશ કૃષિ મહોત્સવ દ્વારા શરૂ કરી. ગુજરાતે જમીનની તાસીર જાણીને સોઇલ હેલ્થ કાર્ડની મદદથી જમીનને સહાયકારી પોષકતત્વો પૂરા પાડીને અનુકુળ પાક લેવાનું શરૂ કર્યું. ગુજરાતના ખેડૂતોએ તનતોડ મહેનત કરી બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ લીધુ છે. આ તમામ સંકલિત પ્રયાસોને કારણે ભૂતકાળમાં રાજ્યનો કૃષિ વિકાસ દર જે શૂન્યથી નીચે બે અંક એટલે કે ‘‘માઇનસ ટુ''હતો તે વધીને સતત ‘‘ડબલ ડીજીટ''માં પહોંચી ગયો.
ગુજરાતનું કૃષિ વિકાસનું આ સાતત્ય સમગ્ર દેશ અને દુનિયાને સ્પર્શી ગયું છે. કૃષિ તજજ્ઞ ડો. સ્વામીનાથને ગુજરાતના આ પ્રયાસને બિરદાવ્યો..વર્ષની શરૂઆતમાં ભારત સરકારના કમિશન ફેર એગ્રીકલ્ચર કોસ્ટ ઓફ્ પ્રોડક્શન પોલીસીના અધ્યક્ષ ડો. અશોક ગુલાટી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતે આવેલા ત્યારે તેમણે ગુજરાતમાં કૃષિક્ષેત્રે દસ ટકાથી વધુના સાતત્યપૂર્ણ વિકાસદરને ઉદ્દીપકીય ભૂમિકારૂપ માની અન્ય રાજ્યો માટે તેને પ્રેરણાસ્રોત ગણાવ્યો હતો. તેમની વાત સાચી છે, અન્ય માટે પ્રેરણારૂપ બનવું એ ગુજરાતના પુરુષાર્થનો હાર્દ છે.
દાયકા અગાઉ ગુજરાત રાજ્યની કૃષિ આવક રૂ. ૯૦૦૦ કરોડની હતી. રાજ્ય સરકારે કૃષિ અને કૃષિકારોના સર્વાંગી વિકાસ માટે જે ઝુંબેશ શરૂ કરી તેના પરીણામે આજે રાજ્યની વાર્ષિક કૃષિ આવક વધીને રૂ. ૧ લાખ કરોડને પાર કરી ગઇ છે. આ સિદ્ઘિ કાંઇ એમને એમ નથી મળી.. રાજ્ય સરકારનું માર્ગદર્શન, કૃષિ પદ્ઘતિમાં વૈજ્ઞાનિક અભિગમ અને ખેડૂતોની મહેનતને કારણે આ શકય બન્યું છે. આંકડા જ દર્શાવે છે કે, ગુજરાતે છેલ્લા દાયકામાં કૃષિ ક્ષેત્રે જે સિદ્ઘિ મેળવી છે તે ખરેખર ચમત્કારરૂપ છે. વર્ષ ૧૯૯૧માં રાજ્યનો વાવેતર વિસ્તાર ૧૦૬ લાખ હેક્ટર અને ખેત ઉત્પાદન ૧૦૮ લાખ મે. ટન હતું. જે વધીને વર્ષ ૨૦૦૧માં ૧૦૮ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર અને ઉત્પાદન ૧૫૫ લાખ મે. ટન ઉપર પહોંચ્યું હતું.
આમ, દસ વર્ષમાં વાવેતર વિસ્તારમાં માત્ર બે લાખ હેક્ટરનો વધારો અને ખેત ઉત્પાદનમાં માત્ર ૪૭ લાખ મે. ટનનો વધારો થયો હતો. નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રને નવી દિશા મળી...જેના કારણે વર્ષ ૨૦૧૦માં વાવેતર વિસ્તાર ૧૪૫ લાખ હેક્ટર અને ખેત ઉત્પાદન ૨૪૧ લાખ મે. ટન ઉપર પહોંચ્યું. આમ, આ રાજ્ય સરકારના એક દાયકાના સુશાસનમાં વાવેતર વિસ્તારમાં ૩૭ લાખ હેક્ટરનો અને ખેત ઉત્પાદનમાં ૮૬ લાખ મે. ટનનો વધારો થયો છે.
ગુજરાત દેશભરમાં કૃષિ ક્ષેત્રે અગ્રેસર છે. દેશના મગફ્ળીના કુલ ઉત્પાદનનું ૩૦ ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દેશના કુલ ઉત્પાદનમાં દિવેલાનું ૮૦ ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. જીરૂના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે છે. વિશ્વમાં ડુંગળી ઉત્પાદકતામાં ગુજરાત અગ્રેસર છે. દેશના ડુંગળીના ૮૦ ટકા ડીહાઇડ્રેશન યુનિટ ગુજરાતમાં આવેલાં છે. કપાસ ક્ષેત્રે દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ૩૩ ટકા ફળો. છે. જયારે નિકાસમાં ગુજરાતનો ૫૦ ટકા હિસ્સો છે. ગુજરાતમાં વર્ષ-૨૦૧૨-૧૩માં ૮૬ લાખ ગાંસડી કપાસનું વિક્રમજનક ઉત્પાદન થયું હતું.
આ જ રીતે રાજ્યમાં ઘઉંનું દસ વર્ષમાં પાંચ ગણું ઉત્પાદન હાંસલ કરી શકાયું છે. વર્ષ ૨૦૧૦-૧૧માં ખાદ્યાન્નનું ઉત્પાદન ૧૦૦ લાખ મે.ટન ઉપર પહોંચ્યું હતું. ખાદ્યાન્નનું વધુ ઉત્પાદન મેળવવા બદલ વર્ષ ૨૦૧૧-૧૨ માં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને ‘‘કૃષિ કર્મણ કમાન્ડેશન પુરસ્કાર'' એનાયત કરાયો હતો. ગુજરાતે કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમને અપનાવ્યો છે. જળ સંચયના મહત્વને જાણ્યું છે અને એટલે જ રાજ્યમાં ૭ લાખ હેકટર ઉપરાંત વિસ્તારમાં સૂક્ષ્મ પિયત પધ્ધતિથી આધુનિક ખેતી થઇ રહી છે.
જોકે, રાજ્ય સરકાર આટલા પ્રયાસોથી, આટલી સિદ્ઘિથી અટકી નથી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કૃષિ ક્ષેત્રે થયેલી શોધો અને તકનીકો, નવીન કૃષિ મશીનરી અંગેનું જ્ઞાન રાજ્યના ખેડૂતોને ઘર આંગણે મળી શકે તે માટે આગામી તા. ૯-૧૨, સપ્ટેમ્બર દરમિયાન ગ્લોબલ એગ્રીસમીટ કમ એક્ઝીબિશનનુ જે આયોજન કરાયું છે તે અનેકરીતે વિશિષ્ટ છે. આ પ્રસંગે યોજાયેલા મેગા એક્ઝીબિશનમાં ૧પ થી વધુ દેશોમાંથી આવેલી ર૦૦ થી વધારે કંપનીઓ કૃષિની આધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારી કિસાન પંચાયતમાં ગુજરાતના ૪૦૦૦ જેટલા ખેડૂતો તથા ગુજરાત બહારના પ૦૦૦ જેટલા ખેડૂતો ભાગ લેશે. આ સમીટમાં કૃષિ વિષયક અન્ય સેમીનારની સાથે સાથે ઇઝરાયલ, નેધરલેન્ડ તથા ડેન્માર્ક જેવા દેશોના કન્ટ્રી સેમિનારનું પણ આયોજન કરાયું છે. આ બધો જ પુરુષાર્થ દેશના સર્વાંગી કૃષિ વિકાસ માટે ગુજરાતે આદર્યો છે. નરેન્દ્ર મોદી કહે છે તેમ ‘‘ઇન્ડિયા ફર્સ્ટ'' માટેનો ગુજરાતનો આ યજ્ઞ છે.