જાણો તમારા ઉમેદવારને: માંડવીથી ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં માંડવી સીટ પરથી ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. વિરેન્દ્રસિંહ જાડેજા વિશે થોડુ જાણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પર ઉમેદવારોની યાદી પર વિવાદ વધતા આ વખતની ચૂંટણી વધારે રસપ્રદ બની ગઇ છે, ત્યારે 20 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં માંડવી વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે વિરેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી છે. તો વિરેન્દ્રસિંહ જાડેજા વિષે થોડુ જાણીએ. 50 વર્ષના વિરેન્દ્રસિંહ જાડેજાનો જન્મ કચ્છના રાપર તાલુકામાં થયો હતો. વિરેન્દ્રસિંહના પિતાનું નામ બહાદૂરસિંહ જાડેજા હતું. વિરેન્દ્રસિંહ જાડેજા આ પહેલા 2007માં ભાજપમાંથી રાપર વિધાનસભા સીટ પરથી ટિકિટ મેળવીને ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ વર્ષ તેઓ માંડવીની સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.
myneta.in પરથી મળતી માહિતી અનુસાર વિરેન્દ્રસિંહ જાડેજાએ ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. તેમણે 2007ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની મિલકત 33 લાખ રૂપિયા દર્શાવી હતી. તેમની પર 2007 સુધી કોઈ પણ ગુનાહિત કેસ નોંધાયો નથી. માંડવી સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઘણા લાંબા સમય સુધી તારાચંદભાઈ છેડાની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે તેમની નાજુક તબિયત અને માંડવીના ભાજપ કાર્યકર્તાના આંતરિક વિવાદોના કારણે માંડવીની સીટ માટે વિરેન્દ્રભાઇના નામ પર પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.