ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી, અમદાવાદ-વડોદરા 44 ડિગ્રીને પાર થવાની સંભાવના
અમદાવાદ, રાજકોટ, વડોદરામાં આગામી 29 અને 30 એપ્રિલના રોજ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની સંભાવના છે.
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અત્યંત ભીષણ ગરમી પડી રહી છે અને આગામી પાંચ દિવસ સુધી હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે એ દરમિયાન અમદાવાદ, રાજકોટ, વડોદરામાં આગામી 29 અને 30 એપ્રિલના રોજ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વળી, સુરતમાં 27 અને 28 એપ્રિલના રોજ હીટવેવ સાથે તાપમાન 41 ડિગ્રીને પાર જઈ શકે છે.
રાજ્યમાં 5 દિવસ હીટવેવની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, દીવમાં 27 અને 28 એપ્રિલના રોજ હીટવેવની આગાહી છે જ્યારે ગરમ પવનો 29 એપ્રિલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફૂંકાશે જેના પગલે 29 અને 30 એપ્રિલના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
તૂટી શકે છે દસ વર્ષનો રેકૉર્ડ
રાજ્યના મુખ્ય શહેરોમાં એપ્રલ મહિનામાં સવાસો વર્ષનુ સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 46.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ. વર્ષ 2020માં અમદાવાદમાં 30 એપ્રિલના રોજ 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો તાપમાન 44 ડિગ્રીને પાર જાય તો દસ વર્ષનો રેકૉર્ડ તૂટશે.
કંડલામાં પારો 44 ડિગ્રી નજીક પહોંચ્યો
રાજકોટમાં સર્વાધિક તાપમાન પાંચ વર્ષ પહેલા 14 એપ્રિલ, 2017ના રોજ 44.8 ડિગ્રી સેલ્સિયલ નોંધાયુ હતુ. ભૂજમાં પણ આ જ દિવસે સૌથી વધુ તાપમાન 45.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. સુરતમાં દરિયાઈ પવનોના કારણે સરેરાશ તાપમાન ઓછુ હોય છે તેમછતાં ત્યાં 45.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સદીનો અને 29 એપ્રિલ, 2019ના 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો દસકનો રેકૉર્ડ છે. કંડલા એરપોર્ટ ખાતે પારો 44 ડિગ્રી નજીક પહોંચી ગયો છે.
તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રી વધારાની સંભાવના
સુરેન્દ્રનગર 43.3, ભૂજ 43.2, જૂનાગઢ અને અમરેલીમાં 42.5, અમદાવાદ 42.4, રાજકોટ 42.3, ગાંધીનગર 42 સહિત 8 સ્થળોએ પારો 42 ડિગ્રી સેલ્સિયસના પાર થયો હતો. તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રી વધારાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જામનગરમાં 40 કિમીની ઝડપે દરિયાઈ પવનો ફૂંકાતા મહત્તમ 37.5 ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. વળી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, મહુવા સહિત દરિયાકાંઠા નજીકના સ્થળોએ પણ લૂ ઓછી રહી હતી.