કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી ટાણે જ કેમ પક્ષ પલટો કરી રહ્યા છે ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસમાં આયારામ ગયારામ ચાલુ થઇ ગયું છે. કોંગ્રેસના દિગ્ગજો કાયમની માફક આ વખતે પણ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાઇ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસમાં આયારામ ગયારામ ચાલુ થઇ ગયું છે. કોંગ્રેસના દિગ્ગજો કાયમની માફક આ વખતે પણ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો કેટલાય ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, સાંસદો જેવા જનપ્રતિનિધિઓ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપ સાથે જોડાઇ ચુક્યા છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તો કોંગ્રેસને પોતાના ધારાસભ્યોને સહેલગાહે ઉઠાવી જવાની નોબત આવતી હોય છે. આવું કેમ થઇ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની આ પરિસ્થિતિ કેમ સર્જાઇ રહી છે ? આ વિષય પર પક્ષમાં આંતરિક મંથન થવું જોઇએ અને તેના માટે જવાબદાર કારણ પર નિવારણ કરવું જોઇએ. પરંતું, કંઇ કરવામાં આવતું નથી. પક્ષના ટોચના નેતાઓ બેદરકાર અને બેપરવાહ બની પરિસ્થિતિ નિહાળ્યા કરે છે.
2017ની વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસ પાસે 80 ધારાસભ્યોનું સંખ્યાબળ હતું, જે હાલમાં ઘટીને અપક્ષ ધારાસભ્યના સમર્થન સાથે આ સંખ્યા 64 રહી જવા પામી છે. જે, કોંગ્રેસનો સતત રકાશ થતો દર્શાવે છે. આ માટે માત્ર અને માત્ર કોંગ્રેસનો આંતરિક જુથવાદ અને પ્રાદેશિક નેતાઓની બેપરવાહી અને બિનકાર્યક્ષમતા જવાબદાર માનવામાં આવે છે.
ભાજપ હાલમાં જે રીતે ડાયનેમિક રીતે કામ કરી રહી છે, પોતાના કાર્યકરો અને નેતાઓને મોબિલાઇઝ કરી રહી છે. તે રીતે, કોંગ્રેસમાં કોઇ કાર્ય વિભાજન કે આયોજનનો અભાવ જોવા મળે છે. કોઇ સાર્વજનિક ચહેરો ઉભો કરવામાં કે તેને પાર્ટી ધોરણે પ્રમોટ કરવામાં પક્ષ ઉણો સાબિત થઇ રહ્યો છે. કોંગ્રેસને નેતાઓની પાર્ટી કહેવામાં આવે છે,
કોંગ્રેસને હાઇ કમાન્ડનો સીધો દોરી સંચાર નથી કે કોઇ અંકુશ પણ નથી. કહેવાય છે કે, ગુજરાત કોંગ્રેસમાં બે જૂથ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. આ કારણે, બે જૂથની આંતરિક લડાઇમાં ભાજપ પોતાનો ફાયદો મેળવી રહ્યું છે. જો કોઇ ચહેરો ઉભરી આવે તો તેને કોઇપણ ભોગે પુરો કરવા અને તેને પક્ષમાં અવગણના કરવા વિરોધી જૂથ લાગી જાય છે. પરિણામે નવો ચહેરાને સ્પેશ મળતી નથી કે, પક્ષના નેતાઓ અને કાર્યકરોનો સાથ મળતો નથી. જેના કારણે, જે તે નેતા કે કાર્યકરને સત્તા પક્ષના રોષનો ભોગ પણ બનવું પડે છે, જો ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ ન કરે તો સરકારની ભીંસ પણ એકલા ભોગવવી પડે છે. આ કારણે, મોટાભાગે કોંગ્રેસના નેતાઓને પોતાની વિચારધારા સાથ કે પક્ષ સાથે છેડો ફાડવાની નોબત આવે છે.