મોદીએ સ્વતંત્રતા દિવસ પર બોલવા ભુજ કેમ પસંદ કર્યું?
ગાંધીનગર, 16 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન મનમોહન સિંહના ભાષણનો જોરદાર જવાબ આપવા માટે ભુજની લાલન કોલેજમાંથી પોતાનું ભાષણ આપ્યું હતું. ગુજરાતમાં તબક્કાવાર રીતે જુદા જુદા જિલ્લાઓમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવાની પરંપરા છે. પણ આ વખતે નરેન્દ્ર મોદીએ શા માટે કચ્છના ભુજની પસંદગી કરી તેના કારણો જાણવા જેવા છે.
ભુજ પર પસંદગીનો કળશ ઢોળવાનું પ્રથમ કારણ એ છે કે સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી જ એક માત્ર એવા મુખ્યમંત્રી છે જે 15 ઓગસ્ટના રોજ રાજ્યના પાટનગરમાંથી ભાષણ આપતા નથી. સ્વતંત્રતા દિનની ઉજવણી માટે તેઓ રાજ્યના એક જિલ્લાને પસંદ કરીને ત્યાંના સ્થાનિક લોકોને ઉજવણીમાં જોડાવાનું આહવાન આપે છે.
બીજું મોટું કારણ એ છે કે ભુજથી પાકિસ્તાન બોર્ડર નજીક છે. ભુજ કચ્છમાં આવેલી ભારત પાકિસ્તાનની બોર્ડરથી માત્ર 50-60 કિલોમીટર દૂર છે. તાજેતરની ઘટનાઓને પગલે જો અહીંથી દેશભક્તિનો અવાજ ઉઠાવવામાં આવે તો તે વધાર બુલંદ બને છે.
ત્રીજું મોટું કારણ એ છે કે ગુજરાતનો વિકાસ નોંધપાત્ર રીતે થયો છે. વર્ષ 2001માં ભૂકંપ બાદ ભુજ ખરાબ રીતે નુકસાન પામ્યુ હતું. આજે ભુજ ફરી પોતાના પગ પર ઉભું છે. પોતાના અધિકારીઓની આકરી મહેનતથી આજે ભુજ પહેલા કરતા પણ વધારે સારી રીતે કામ કરે છે જે માટે મોદીને અહીંથી ભાષણ આપવામાં ગર્વનો અનુભવ થાય છે.
જો ઇતિહાસ પર એક નજર કરીએ તો 15મી સદીમાં રાવ હમીરજીએ 1510માં ભુજની સ્થાપના કરી હતી. રાવ ખેંગારજીએ 1549માં તેને રાજધાનીનો દરજ્જો આપ્યો હતો. 1947થી લઇને 1956 સુધી કચ્છ રાજ્યની રાજધાની ભુજ જ હતી. કચ્છ દેશનો સૌથી મોટો જિલ્લો છે.અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર બન્યું હોવાથી ધાર્મિક કારણોસર ભુજની ભૂમિ પવિત્ર સ્થળ છે.