શું આશા પટેલ કરશે ઘર વાપસી કે ધારણ કરશે કેસરિયો?
શું આશા પટેલ કરશે ઘર વાપસી કે ધારણ કરશે કેસરિયો?
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલની હાલત હાલમાં ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો જેવી થઇ છે. એક તરફ તેમને ભાજપમાં પ્રવેશ ન મળે તે માટે ઉંઝાના પુર્વના ધારાસભ્ય નારાયણ પટેલ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, કોંગ્રેસ પણ તેમને પરત લેવા માટે તૈયાર ન હોવાનું પ્રદેશમંત્રી નિવેદન આપી ચુક્યા છે. ત્યારે, કેટલીક અટકળો પ્રમાણે હવે આશા પટેલ ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં ગૃહ પ્રવેશ કરશે તે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.

કોંગ્રેસ પર આશા પટેલ કૂણાં પડ્યાં !
ધારાસભ્યનાં પદેથી રાજીનામું આપનાર આશાબેન પટેલ આ અંગે નિવેદન આપતા જણાવે છે કે, 'કોંગ્રેસે મને લોકસભાની ટિકીટ આપવાની ઓફર કરી છે. કાર્યકર્તાઓ કહેશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ. મે ઉતાવળમાં રાજીનામું લખ્યું હતું. એપીએમસીમાં ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમજ તેઓએ ભાજપમાં જોડાવવા અંગે કહ્યું કે તે વાતો અફવા છે.' આમ કહીને આશા પટેલે હવે કોંગ્રેસમાં પોતાની પરત ફરવાની ઇચ્છા ક્યાંકને ક્યાંક પ્રગટ કરી છે. ત્યારે, બીજી તરફ તેમની પર ઉત્તર ગુજરાત PAAS કન્વીનર નરેન્દ્ર પટેલે 22 કરોડમાં રાજીનામાંનો સોદો થયો હોવાનો દાવો કર્યો છે. ઉંઝા APMCનાં ચેરમેન બનવા દિનેશ પટેલે રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો છે.

એપીએમસી પર નારાયણ પટેલનો કબ્જો
નારણ લલ્લુ ઊંઝા ભાજપમાં એકહથ્થુ રાજકીય એકાધિકાર ચલાવે છે. ત્યારે, આશા પટેલને રોકવા સક્રિય છે. મુખ્યમંત્રી સાથે બીજીવાર પણ બેઠક યોજી હોવાનું ચર્ચાય છે. અંદરખાને ત્યાંનું નારણ પટેલ વિરોધી જૂથ અને કોંગ્રેસ પણ આશાના ભાજપ પ્રવેશને રોકવા ગુપ્ત બેઠકો યોજી રહ્યું હોવાનું ચર્ચાય છે. ભાજપના મોવડીમંડળે એક ફોર્મ્યુલા બનાવીને એક કાંકરે ઘણા પક્ષીઓ મારવા પ્રયાસ કર્યો છે. જેમાં આશા પટેલને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ,તેમના એક ટેકેદારને ઊંઝા એપીએમસી અને અન્યને ઊંઝા બેઠકની પેટા ચૂંટણીએ ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડાવવાનું રસ્તો અપનાવ્યો છે.

પાટણમાં ભાજપનું સંમેલન યોજાશે
શુક્રવારે પાટણના કે સી સંકુલમાં 2 વાગ્યે યોજાનાર ક્લસ્ટર સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રમુખ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ઉપસ્થિત રહેવાના છે. તેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા એમ 3 લોકસભા બેઠકનું ક્લસ્ટર સંમેલન યોજાશે. આ સંમેલનમાં આશા પટેલ કેસરિયો ધારણ કરે તેવી શક્યતા છે. આશા પટેલ કાર્યકર્તા સંમેલન દ્વારા એક કાંકરે બે પક્ષીઓને મારવાનો પ્રયાસ કરે છે. એક તરફ તેઓ ભાજપમાં પોતાનો પ્રવેશ મજબુતીથી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો, બીજી તરફ તેમનું શક્તિ પ્રદર્શન કરીને ફરીથી લોકો સમક્ષ જવાનો સંકેત આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
