આનંદીબેન પટેલે CM પદ માટે લખ્યો અમિત શાહને પત્ર
ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી માટે મુખ્યમંત્રી પદની દાવેદારીમાં પોતાનું નામ ન જોડવા આનંદીબેન અમિત શાહને લખ્યો પત્ર. પત્રમાં આનંદીબેન પટેલે નવા લોકોને તક આપવાની વાત કરી. વધુ જાણો અહીં
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી તેવા આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહને એક પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુબ્રહ્મણમ સ્વામીએ ટ્વિટ કરીને આનંદીબેનને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકે રજૂ કરવાની અપીલ કરી હતી. જે બાદ બેન ફરી રાજકારણમાં પાછા આવે છે તેવી ચર્ચાઓ ઊભી થઇ હતી. આ તમામ ચર્ચાઓને ઠંડી પાડવા માટે આનંદીબેન અમિત શાહને પત્ર લખ્યો છે.
જેમાં તેમણે જણાવ્યું કે પાર્ટી નીતિ મુજબ 75 પ્લસને ચૂંટણી લડવી ના જોઇએ જે ભાજપની નીતિ છે. આ સાથે જ તેમણે નવા લોકોને તક આપવાની વાત કરતા જણાવ્યું કે અનેક કાર્યકર્તાઓ લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે અને તેમને ટીકિટ આપવી જોઇએ. ઉલ્લેખનીય છે કે આનંદીબેન તેમના કાર્યકાળ વખતે સ્વઇચ્છા વ્યક્ત કરીને 75 વર્ષને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. અને તે પછી પણ જ્યારે તેમના ગવર્નર પદ મામલે ચર્ચા થઇ તો તેમને નનૈયો ભર્યો હતો. આમ આ વખતે પણ તેમની નામ ફરી મુખ્યમંત્રીની હોડમાં ઉમેરાતા તેમણે આ અંગે સ્પષ્ટતા આપી હતી.