યોગી પછી રૂપાણીએ પણ કરી ગૌહત્યા મામલે મોટી જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ને ધ્યાનમાં રાખી પાલનપુર ખાતેના એક કાર્યક્રમમાં કરી ગૌહત્યાથી લઇને દારૂબંધી પર આ મોટી જાહેરાત.
મુખ્યમંત્રી વિજયરૂપાણીએ બનાસકાંઠાના પાલનપુર ખાતે મંગળવારે, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો. ત્યારે આ પ્રસંગે વિજય રૂપાણી એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ની ધ્યાનમાં રાખીને અનેક તેવા મુદ્દા પર ટિપ્પણી કરી હતી જે ભાજપને આવનારી ચૂંટણીમાં જીતાડવામાં મદદરૂપ થઇ શકે. વધુમાં ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં ગૌરક્ષા માટે કડક કાયદો બનાવવા અને ગૌરક્ષાના દોષિતોને કડક સજા ફટકારવાની જોગવાઇ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
ગૌ હત્યા
આ પ્રસંગે ગૌરક્ષા પર બોલતા વિજય રૂપાણીએ કહ્યું કે વિધાનસભામાં વિધેયક પસાર કરીને ગૌહત્યા કરનારને 10 વર્ષ સુધી સજાની જોગવાઇ કરવામાં આવશે. વળી રાતે પશુઓની હેરાફેરી પર પણ પ્રતિબંધ મૂકી પશુ લઇ જતા વહાનોને કાયમ માટે જપ્ત કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે ગાય ધાર્મિક આસ્થા સાથે જ શ્વેતક્રાંતિ અને સુખાકારીની સર્જક છે. આમ કહીં તેમણે ફરી ગુજરાતના હિંદુવાદી મુદ્દાને વેગવાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
Read also: યોગી છે સ્ટાર પ્રચારક, CMએ કહ્યું આજે કરવો ચૂંટણી અમે જીતશું
પીએમ મોદીના વખાણ
વધુમાં તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્રમાં બેઠેલી નરેન્દ્ર મોદીની સરકારની વિવિધ સિદ્ધિઓ પણ ગણાવી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિથી ભારતનું ગૌરવ વૈશ્વિક સત્તરનું થયું છે. પીએમ મોદીનો નોટબંધીનો નિર્ણય વિપક્ષો પર વોટબંધી પુરવાર થયો છે. વળી રાજ્યમાં પણ તમામ ક્ષેત્રે વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે તેવું પણ સીએમ રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું. વિજય રૂપાણીએ પોતાની સરકારને પારદર્શક, સંવેદનશીલ અને ભષ્ટ્રાચાર મુક્ત તથા નિર્ણાયક સરકાર ગણાવી હતી.
દારૂબંધી થી લઇને ફી સમસ્યા
વધુમાં તેમણે પ્રાઇવેટ સ્કૂલોના દ્વારા થતાં ફી વધારા મામલે પણ તેમણે પગલાં લેવાની વાત કરી હતી. સાથે જ દારૂબંધી પર પણ કડક જોગવાઇ કરવાની વાત તેમણે કરી હતી. આમ એકાંદરે પાલનપુરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના તમામ સળગતા પ્રશ્નો પર લોકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમના આ ભાષણથી એક રીતે તેમણે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી પ્રચારનો શંખનાદ વગાડીને શરૂવાત કરી દીધી હોય તેમ લાગતું હતું.