નવી દિલ્હી, 28 મે: રાજ્યસભા સાંસદ સ્મૃતિ ઇરાણીને માનવ સંસાધન વિકાસ મંત્રી બનાવવાના નરેન્દ્ર મોદીના નિર્ણય પર સવાલ ઉઠતા બંધ નથી થઇ રહ્યા. સ્મૃતિ ઇરાણીને સ્નાતક પણ નહી હોવા છતા માનવ સંસાધન વિકાસ મંત્રી જેવું પદ આપવા પર કોંગ્રેસ નેતા અજય માકને ગઇ કાલે નિશાનો સાધ્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસ અને ભાજપ નેતાઓની વચ્ચે તુતુ-મેમે શરૂ થઇ ગઇ છે. બીજી બાજું મોદીની સમર્થક માનવામાં આવતી લેખિકા અને પત્રકાર મધુ કિશ્વરે પણ સ્મૃતિની શિક્ષાને લઇને તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
અત્રે નોંધનીય છે કે માકને ગઇકાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે શું કેબિનેટ છે મોદીનું? માનવ સંસાધન વિકાસ મંત્રી સ્નાતક પણ નથી. ચૂંટણી પંચની વેબસાઇટ પર તેમનું સોગંધનામું પણ એ જ કહે છે. માકનના આ નિવેદનને સરકારે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. ખૂદ કેબિનેટ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે આ નિવેદનને લઇને કોંગ્રેસ આત્મચિંતન કરે તેવી સલાહ આપી છે.
લેખિકા મધુ કિશ્વરે જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલય ડોક્ટર હર્ષવર્ધનને આપવું એ એક સારો નિર્ણય છે પરંતુ સ્મૃતિ ઈરાની જેમણે એક 'નાલાયક' જેવું 12 ધોરણ પાસ કર્યું છે અને એવી રીતે પાસ કર્યું કે તેમને કોઇ કોલેજમાં એડમિશન પણ મળ્યું નહીં. તે બે વખત ચૂંટણી હારી ગઇ છે. આટલી મોટી મોદી લહેરમાં પણ જીતી ના શકી. જ્યારે બીજી બાજું આઠઆઠ વાર ચૂંટાઇને આવતા નેતાઓ બહાર બેઠા છે, જ્યારે બીજી બાજું હારેલી સ્મૃતિ ઈરાની જેણે સ્નાતક પણ પૂર્ણ નથી કર્યું તેમની પર દેશનું શિક્ષણ વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આપવામાં આવી છે, જે યોગ્ય નથી.
વિવાદ વકર્યો, જુઓ કોણે શું કહ્યું...
મુક્તાર અબ્બાસ નકવી, ભાજપ નેતા
આટલી ભૂંડી હાર છતા અહંકાર અને અરાજકતાને છોડી કોંગ્રેસને આત્મ ચિંતન કરવાની જરૂર છે. કોંગ્રેસ જનાદેશનું સન્માન કરે, અર્થ વગરની વાતો ના કરે. આ હતાશા સ્વાભાવિક છે.
સંતોષ ગંગવાર, ભાજપ
સંતોષ ગંગવારે જણાવ્યું કે હું સોનિયા ગાંધીને પૂછવા માંગીશ કે તેઓ કેટલા સુધી ભણ્યા છે, પહેલા તેનો જવાબ આપે બાદમાં આગળ ચર્ચા કરે.
ઉમા ભારતી
કેબિનેટ મંત્રી ઉમા ભારતીએ જણાવ્યું કે સોનિયા ગાંધીની ડિગ્રી શું છે. તેમને તો યૂપીએની ચેરપર્સન બનાવી દેવામાં આવી જરા પોતાના સર્ટિફિકેટ બતાવે.
સંજય નિરુપમ, કોંગ્રેસ
સંજય નિરુપમે જણાવ્યું કે મોદીએ મંત્રાલય આપ્યા પહેલા સ્મૃતિ ઇરાણીનો બાયોડેટા ચેક કરી લેવા જેવો હતો. મોદીને પોતાની નાની બહેન અંગે પોતાનો નિર્ણય બદલી લેવો જોઇએ.
ગિરિરાજ સિંહ
બિહાર ભાજપપના નેતા ગિરિરાજ સિંહે ટ્વિટ કર્યું છે કે માકનજી વાંચનનો ઉપયોગ દેશને બચાવવામાં થવો જોઇએ નહીં કે કૌભાંડો અને દેશને શરમમાં મૂકવામાં. આ સંદેશ પોતાના ભણેલા ગણેલા કોંગ્રેસીયો સુધી પહોંચાડી દો.
સંબિતા પાત્રા, ભાજપ
ભાજપ નેતા સંબિતા પાત્રાએ ટ્વિટ કર્યું છે કે જે લોકોએ કૌભાંડમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હોય તેને અન્યોના શિક્ષણ પર સવાલ ઉઠાવવો જોઇએ નહીં.