કુપવાડામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર
કુપવાડામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર
નવી દિલ્હીઃ જમ્મૂ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણ કુપવાડાના હંદવાડાના ગુલેરા વિસ્તારમાં ચાલી રહી છે. સેનાને જાણકારી મળી હતી કે અહીં આતંકવાદીઓ છૂપાઈને બેઠા છે, જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો જેને પગલે આતંકવાદીઓ અને સેના વચ્ચે ફાયરિંગ થયું હતું. સેનાએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. જણાવી દઈએ કે પાછલા કેટલાક દિવસોમાં આતંકવાદીઓ વિરુદ્ધ સેના સતત અભિયાન ચલાવી રહી છે.
માહિતી મુજબ જે બે આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે તે લશ્કરના આતંકીઓ છે, બંને સ્થાનિક નાગરિકો છે, જેમાંથી એક તાજેતરમાં જ આતંકવાદી બન્યો હતો. આ ઓપરેશનમાં ભારતીય સેનાની રાષ્ટ્રીય રાયફલ બટાલિયન ન30, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની બટાલિયન 92 અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભાગ લીધો હતો. સેનાને જ્યારે આતંકવાદીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળી તો તેમણે સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દીધો હતો.
પોલીસે જણાવ્યું કે સેનાએ અમુક રાઉન્ડ ગોળી ચલાવી કે તુરંત એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. સામેથી ફાયરિંગ કરી રહેલા બંને આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. બંનેની ઓળખ લિયાકત અને ફુરકાન તરીકે થઈ છે. લિયાકત સોપોર જિલ્લાના બારામૂલાના હરવાડાનો રહેવાસી છે, જ્યારે ફુરકાન હંદવાડાના લંગાતેનો રહેવાસી છે. સમગ્ર વિસ્તારને મોડી રાત્રે 2.30 વાગ્યે ખાલી કરાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- 9/11ને થયાં 17 વર્ષ, હુમલામાં હતું ભારતનું કનેક્શન