Exclusive : ભાજપના ‘રામ-લખન’ની થશે આ 3 અગ્નિ-પરીક્ષાઓ!
અમદાવાદ, 10 ઑગસ્ટ : રામ લક્ષ્મણ એટલે કે રામાયણના બે મહત્વના પાત્રો કે જેમના વિશે પરિચય આપવાની કદાચ જરૂર નથી. રાક્ષસ રાજા રાવણનો વધ કરવાની બાબતમાં ભલે એકલા ભગવાન રામનો ઉલ્લેખ થાય, પણ વાત જ્યારે લંકા વિજયની થાય, ત્યારે રામનું નામ લક્ષ્મણ વગર ન લઈ શકાય. કોઈ પણ વ્યક્તિ એમ જ કહે કે રામ-લક્ષ્મણે લંકા પર વિજય મેળવ્યો હતો. જેમ લક્ષ્મણ ભગવાન રામના પરમ સેવક હતાં, તો રામ પણ લક્ષ્મણ વગર પૂર્ણ નહોતાં.
જોકે અહીં આપણે ભારતના એ પૌરાણિક અને શ્રદ્ધેય રામ-લક્ષ્મણ વિશે નહીં, પણ આધુનિક ભારતના રાજકારણના આધુનિક રામ-લખન વિશે વાત કરવાની છે. હવે, સમજાઈ જ ગયું હશે કે અહીં વાત નરેન્દ્ર મોદી અને અમિત શાહની થઈ રહી છે. બિલ્કુલ સાચું, ભારતના રાજકારણમાં હાલમાં આ બે ખેરખાંઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ રામ-લખન તરીકે પ્રખ્યાત છે અને ચર્ચિત પણ છે. રામ-લખનની આ જોડી આધુનિક ભારતમાં પણ આધુનિક એટલા માટે કહેવાય, કારણ કે આધુનિક ભારતમાં રામ-લખનની આવી અનેક જોડીઓ થઈ ચુકી છે અને જો ભાજપની જ વાત કરીએ, તો દાયકા પૂર્વે રામ-લખન તરીકે અટલ બિહારી બાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણી પ્રખ્યાત હતાં.
ભૂતકાળમાં બહુ જવાની જરૂર નથી લાગતી, કારણ કે હાલની રામ-લખનની જોડી જેવી સફળતા કદાચ અગાઉની કોઈ પણ જોડીએ નહોતી મેળવી. કમ સે કમ, ભાજપના સંદર્ભમાં તો આ વાત સાચી છે, કારણ કે અટલ-અડવાણીની જોડી ભાજપને સત્તામાં તો લઈ આવી હતી, પરંતુ તે સત્તા એકલા હાથે નહોતી પ્રાપ્ત થઈ શકી, જ્યારે મોદી-અમિતની આધુનિક રામ-લખનની જોડીએ ભાજપને એકલા હાથે સત્તાના સિંહાસને પહોંચાડી છે.
હવે વાત જ્યારે પૌરાણિક પાત્રોના નામ રામ-લખન સાથે જોડાયેલ નરેન્દ્ર મોદી-અમિત શાહની થતી હોય, ત્યારે પૌરાણિક લંકા પણ ઊભી કરવી જ પડે. રામાયણમાં તો એક લંકા અને એક રાવણ હતો, જ્યારે આજની રામ-લખન જોડી સમક્ષ પડકારોની કેટલી લંકાઓ છે, તેનો તો પોતે રામ-લખનને પણ ખ્યાલ નહીં હોય. રામ સમક્ષ સરકારમાં રહી સારા કાર્યો કરવાનો અને તેના દ્વારા પ્રજામાં ભાજપ પ્રત્યે ઝોકમાં સતત વધારો કરવાનો પડકાર છે, તો લખન સામે સંગઠનના મૂળથી લઈ ટોચ સુધીના અને તેના વડે એક, બે કે ત્રણ નહીં, પણ અનેક ચૂંટણીઓ જિતાડવાનો પડકાર છે.
ચાલો તસવીરો સાથે જોઇએ રામ-લખન સામે આજે કેટલીક લંકાઓ રૂપી પડકારો છે :
16 માસમાં ઝડપથી બદલ્યું ચિત્ર
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 બાદ 16 માસની અંદર દેશના રાજકારણ અને ભાજપનું ચિત્ર ઝડપથી બદલ્યું. ગુજરાતમાં નરેન્દ્ર મોદી ત્રીજી વાર ચૂંટણી જીત્યાં અને સાથે જ તેમનું દિલ્હી તરફનું પ્રણાય શરૂ થઈ ગયું. એક બાજુ મોદીએ પોતાના ડગ દિલ્હી તરફ મજબૂતી સાથે મૂક્યાં, તો બીજી બાજુ અમિત શાહનો હાથ પણ ઝાલીને રાખ્યો.
મહત્વની જવાબદારીઓ
રામ-લખનની આ જોડી જે લક્ષ્ય સાથે ચાલી, તેનો પડઘો દેશ અને ભાજપમાં પણ પડ્યો. ભાજપે તમામ આંતરવિરોધોને ફગાવી કાર્યકરો તથા પ્રજાની ઇચ્છા મુજબ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા, તો બીજી બાજુ મોદીએ પોતાના લક્ષ્મણ જેવા ભાઈ અમિત શાહને માથે ઇંદ્રજીતના વધ જેવી એટલે કે ઉત્તર પ્રદેશ સર કરવાની જવાબદારી સોંપી.
અને થયો રામ-લખનનો ઉદય
નરેન્દ્ર મોદીની દેશ અને અમિત શાહની ઉત્તર પ્રદેશમાં કરેલી મહેનત 16મી મે, 2014ના રોજ ફળી. એક બાજુ દેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી, તો તેમાં ઉત્તર પ્રદેશની 71 બેઠકો અપાવી શાહ પણ શહેંશાહ બની ઉપસ્યાં. આમ 16મી મે, 2014ના રોજ ભાજપમાં નરેન્દ્ર મોદી તથા અમિત શાહ રામ-લખન તરીકે ઉપસ્યાં.
સરકાર-સંગઠનમાં છવાયાં
લોકસભા ચૂંટણીમાં ભારે વિજય બાદ પૂર્વઘોષણા મુજબ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં અને દેશની સરકારની કમાન તેમના હાથે આવી ગઈ. બીજી બાજુ મોદીએ અમિત શાહને ભાજપના પ્રમુખ પદે બેસાડી દીધાં. આમ સરકાર અને સંગઠન બંને જગ્યાએ આ જોડી છવાઈ ગઈ.
પહેલી અગ્નિ-પરીક્ષા
રામ-લખનની આ જોડી સામે પહેલી અગ્નિ-પરીક્ષા છે આ વર્ષના અંતે યોજાનાર મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ. બંને રાજ્યોમાં હાલ ભાજપ વિરોધ પક્ષમાં છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીની યુતિની સરકાર છે, તો હરિયાણામાં કોંગ્રેસની. સર્વે મુજબ તો બંને રાજ્યોમાં મોદીનો જાદૂ જળવાયેલો છે, પણ જાદૂને પરિણામોમાં ફેરવવાની જવાબદારી વડાપ્રધાન તરીકે મોદી અને ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહ ઉપર જ રહેશે. આ ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને પરાસ્ત કરવાનો રામ-લખનની જોડી સામે પહેલો પડકાર હશે.
બીજી અગ્નિ પરીક્ષા પહેલા કરતા મોટી
રામ-લખનની જોડી માટે આ અગ્નિ પરીક્ષા પહેલા કરતા પણ મોટી હશે. આવતા વર્ષે 2015માં દેશના ચાર મહત્વના રાજ્યો ઓડીશા, બિહાર, ઝારખંડ અને જમ્મૂ-કાશ્મીરની ચૂંટણીઓ યોજાશે. રાજ્યવાર સમીક્ષા કરીએ, તો ભાજપના સંદર્ભમાં સૌથી મહત્વનું રાજ્ય છે બિહાર. મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાતા પહેલા સૌથી વધુ ચર્ચામાં આવેલુ રાજ્ય હોય, તો તે બિહાર હતું. બિહારના તે વખતના મુખ્યમંત્રી નીતિશ કુમાર મોદીના સખત વિરોધી હતાં અને એટલે જ તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. મોદી અને અમિત શાહ માટે બિહારની ચૂંટણી નીતિશ કુમારને પાઠ ભણાવવાનો સૌથી ઉત્તમ મોકો હશે અને સૌથી મોટો પડકાર પણ. જેડીયૂ વગર ચૂંટણી લડવાનો પહેલો પડકાર અને બીજો પડકાર લાલુ-નીતિશની મૈત્રીનો હશે. દેશના મહત્વના રાજ્યોમાં ઉત્તર પ્રદેશ બાદ બિહારનું જ નામ લેવાય છે અને એટલે ત્યાં ભાજપને સત્તા પર પહોંચડાવાનો મોટો પડકાર રામ-લખન સમક્ષ હશે.
ત્રીજી અગ્નિ પરીક્ષા
નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે ત્રીજી અગ્નિ પરીક્ષા એવી હશે કે જે સતત પાંચ વરસ સુધી તેમની સામે પડકાર ફેંકતી રહેશે. આ કોઈ ચૂંટણીગત અગ્નિ પરીક્ષા નથી. આ પરીક્ષા છે દેશની પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરવાની. દેશની પ્રજાએ ભાજપ અને તેના જે નેતા ઉપર વિશ્વાસ મૂકી સ્પષ્ટ બહુમતી આપી છે, તે નેતા નરેન્દ્ર મોદી અને તે પક્ષના પ્રમુખ અમિત શાહ છે. આમ પ્રજાના વિશ્વાસ પર સાચુ ઠરવા માટે સરકાર પક્ષે નરેન્દ્ર મોદીએ અને સંગઠન પક્ષે અમિત શાહે સતત પ્રજાની કસોટીઓમાંથી પસાર થવું પડશે અને સમયાંતરે યોજાનાર ચૂંટણીઓના પરિણામો જ આ રામ-લખનના રિપોર્ટ કાર્ડ જાહેર કરશે. સરકાર પક્ષે મોદી સમક્ષ દેશની અંદર અને બહાર અનેક પડકારો છે, તો સંગઠન પક્ષે અમિત શાહ સમક્ષ પક્ષને અનેક એવા રાજ્યો સુધી વિસ્તારવાનો પડકાર છે કે જ્યાં હાલ ભાજપને કોઈ જાણતુ પણ નથી.