એપ્રિલમાં પૂર્ણ થશે 55 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ, ભાજપ લાભમાં
ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા સમેત 55 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલમાં થઇ રહ્યો છે પૂર્ણ. જો કે તેમાં ભાજપને લાભ ચોક્કસથી મળશે. કેવી રીતે જાણો અહીં વિગતવાર.
આ વર્ષે એપ્રિલમાં રાજ્યસભામાં મોટા ફેરફાર થશે. જે ભાજપ સરકારને રાજ્યસભામાં બિલ પસાર કરવા માટે પારકી આશે બેસી રહેવું પડતું હતું. તે દુખમાંથી મુક્તિ તેને એપ્રિલ પછી ચોક્કસથી મળશે. 27 જાન્યુઆરીએ કોંગ્રેસના 3 સાંસદોનો કાર્યકાળ તો પૂરો થાય જ છે. પણ એપ્રિસમાં એક સાથે કુલ 55 સદસ્યોનો રાજ્યસભામાં કાર્યકાળ પૂર્ણ થાય છે. એપ્રિલમાં જે સદસ્યોનો કાર્યકાળ પૂરો થાય છે તેમાં રવિશંકર પ્રસાદ, કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારી, રાજીવ શુક્લા, રેણુકા ચૌધરી, અરુણ જેટલી, જેપી નડ્ડા, રેખા, સચિન તેડુંલકરના નામ સામેલ થાય છે. જ્યારે 27 જાન્યુઆરીએ જે કોંગ્રેસના ત્રણ રાજ્યસભાના સદસ્યોનો કાર્યકાળ પૂર્ણ થાય છે તેમના નામ છે કર્ણ સિંહ, જનાર્દન દ્વિવેદી અને પરવેજ હાશમી. આ જગ્યાએ આમ આદમી પાર્ટીના પ્રતિનિધત્વ કરનાર સાંસદો આવશે. અને આ સાથે જ કોંગ્રેસની સંખ્યાં અહીં 57થી ઘટીને 54 થઇ જશે.
એપ્રિલમાં કોંગ્રેસના 12, ભાજપના 17, સપાના 6, બસપા, શિવસેના અને માકર્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના 1-1 સાંસદ, તૃણમૂલ કોંગ્રેસના 3, તેલુગુ દેશમ, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને બીજૂ જનતા દળના 2-2 અને નિર્દલીય અને મનોનીત 3 સદસ્યોનો કાર્યકાળ પૂર્ણ થશે. કોંગ્રેસના સાંસદો શાદીલાલ બત્રા, સત્યવ્રત ચતુર્વેદી, ડૉ. કે ચિંરજીવી, રેણુકા ચૌધરી, રહમાન ખાન, રજની પાટિલ, રાજીવ શુક્લા, પ્રમોદ તિવારી, નરેન્દ્ર બુઢાનિયા, અભિષેક મનુ સિંઘવી અને સપાના નરેશ અગ્રવાલ, જયા બચ્ચન, કિરણમય નંદાનો સમાવેશ થાય છે. આ સાથે જ શિવસેનાના અનિલ દેસાઇ, ભાજપના એલ.ગણેશન, થાવરચંદ ગહલોત, મેધરાજ જૈન, બસવારાજ પાટિલ, ધર્મેન્દ્ર પ્રધાન, રવિશંકર પ્રસાદ, પુરુષોત્તમ રૂપાલા, ભુપેન્દ્ર યાદવ, અરુણ જેટલી, મનસુખ માંડવિયા, પ્રકાશ જાવડેકર અને વિનય કટિયાર જેવા નેતાઓ પણ એપ્રિલમાં તેમની રાજ્યસભાની સદસ્યતા ગુમાવશે. ત્યારે ગુજરાતી નેતાઓમાં પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામનો સમાવેશ થાય છે. વધુમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પરિણામોને જોતા આ વખતે ગુજરાતમાંથી ભાજપની રાજ્યસભાની સીટો પણ કપાશે. પણ ભાજપને આ વખતે ઉત્તર પ્રદેશમાં વધુ સીટો મળવાથી રાજ્યસભામાં લાભ રહેશે.