18 સપ્ટેમ્બરના રોજ રસીના 85.2 લાખ ડોઝ અપાયા, કુલ રસીકરણની સંખ્યા 80.43 કરોડ
કોવિન પોર્ટલ પર રાત્રે 11:59 કલાકે ઉપલબ્ધ ડેટા મુજબ શનિવારના રોજ દેશભરમાં 85.2 લાખથી વધુ COVID 19 રસી ડોઝ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે એક જ દિવસમાં 2.5 કરોડથી વધુ રસીકરણનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
નવી દિલ્હી : છેલ્લા એક દિવસમાં એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ ભારતમાં કોવિડ 19 રસીના 85.2 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતમાં એક દિવસમાં રસીના 2.5 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા.
એક જ દિવસમાં 2.5 કરોડથી વધુ રસીકરણનો રેકોર્ડ નોંધાયો
કોવિન પોર્ટલ પર રાત્રે 11:59 કલાકે ઉપલબ્ધ ડેટા મુજબ શનિવારના રોજ દેશભરમાં 85.2 લાખથી વધુ COVID 19 રસી ડોઝ આપવામાં આવી છે. શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે એક જ દિવસમાં 2.5 કરોડથી વધુ રસીકરણનો રેકોર્ડ નોંધાયા બાદ આ આકડામાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
અત્યાર સુધીમાં કુલ 80,43,72,331 રસી ડોઝ આપવામાં આવ્યા
આ સાથે ભારતમાં અત્યાર સુધીમાં કુલ રસીકરણનો આંકડો 80.43 કરોડ સુધી પહોંચી ગયો છે. 18 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં 85,42,732 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 80,43,72,331 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
100 મિલિયન ડોઝ માત્ર 11 દિવસમાં આપવામાં આવ્યા
રિપોર્ટ અનુસાર 80 કરોડ રસી ડોઝમાંથી રસીના 100 મિલિયન ડોઝ માત્ર 11 દિવસમાં આપવામાં આવ્યા છે. 18 સપ્ટેમ્બરના સાંજે 7 વાગ્યા સુધીમાં રસીના 77.25 લાખ (77,25,076) ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાંથી 40,87,704 પ્રથમ ડોઝ અને 36,37,372 બીજો ડોઝ હતો.
રસીના 78.58 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપલબ્ધ કરાવાયા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસીના 78.58 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં રસીના 5.16 કરોડથી વધુ ડોઝ છે.
પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,34,48,163
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 30,773 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 38,945 લોકો કોવિડ 19થી સાજા થયા છે. દેશમાં છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે 309 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 3,32,158 છે, જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,44,838 છે. દેશમાં અત્યાર સુધીમાં 3,26,71,167 કોરોનામાંથી સાજા થયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,34,48,163 છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે 'ઇવેન્ટ ખતમ'
રાહુલે ટ્વિટર પર છેલ્લા 10 દિવસો દરમિયાન 'કોવિન' પર ઉપલબ્ધ રસીકરણની સંખ્યા સંબંધિત ગ્રાફ શેર કર્યો છે. તે દર્શાવે છે કે, 17 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડબ્રેક સંખ્યામાં રસી ડોઝ આપવામાં આવી હતી, પરંતુ અન્ય દિવસોમાં આ આંકડો પ્રમાણમાં ઓછો હતો. સરકાર પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો છે.