મનીષ સિસોદિયાનો ઘટસ્ફોટ : 'આપ'નો ખાત્મો બોલાવવા માંગે છે યોગેન્દ્ર યાદવ
નવી દિલ્હી, 6 જૂન : 'આપ'ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પત્ર લખીને ઘટસ્ફોટ કર્યો છે કે પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવ ગમે તે રીતે કેજરીવાલ અને 'આપ'નો ખાત્મો બોલાવવા માંગે છે. આ સાથે જ લોકસભા ચૂંટણીમાં ચાર બેઠકોથી સમેટાયેલી આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ભભૂકીને બહાર આવી રહ્યો છે. સિસોદિયાએ યોગેન્દ્ર યાદવ પર જૂથબાજી અને લોકસભા ચૂંટણીમાં હરિયાણાના નેતૃત્વને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂક્યો છે.
આ અગાઉ પાર્ટીના અનેક નેતાઓએ છેડો ફાડી લીધો છે. ત્યારે હવે પાર્ટીના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયા અને યોગેન્દ્ર યાદવ વચ્ચનો ઝઘડો સામે આવતા 'આપ'ની સ્થિતિ વધારે કફોડી બની છે.
સિસોદિયાનો આરોપ છે કે યોગન્દ્ર યાદવ પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલને નિશાન બનાવી રહ્યા છે, અને પાર્ટીની આંતરિક બાબતોને જાહેર કરીને પાર્ટીને ખતમ કરવા માંગે છે. આ દરમિયાન પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજે મળી રહી છે.
સિસોદિયાએ લોકસભા ચૂંટણી બાદ પાર્ટીની સ્થિતિ માટે યોગેન્દ્ર યાદવને જવાબદાર ઠેરવ્યા છે. મનિષ સિસોદિયાએ લખેલો એક પત્ર મીડિયામાં આવતા જ હોબાળો મચી ગયો છે. જેમાં તેમણે પાર્ટીની મુખ્ય રણનીતિકાર કરીકે યોગેન્દ્ર યાદવ પર આરોપ મૂક્યો છે કે તેમના કારણે જ કેજરીવાલે દિલ્હી છોડ્યું છે.
કેજરીવાલ થોડા વર્ષ સુધી દિલ્હીમાં રાજકારણ કરવા માંગતા હતા અને તેઓ લોકસભા ચૂંટણીના વિરુદ્ધ હતા. આ પત્રમાં સિસોદિયાએ એવો પણ આરોપ મૂક્યો છે કે યાદવના વલણથી એવું લાગે છે કે તેઓ પાર્ટીને ખતમ કરી દેવા માંગે છે.
યોગેન્દ્ર યાદવના એક ઇમેલના જવાબમાં આ પત્ર લખાયો છે. જેમાં તેમણે લખ્યું છે, તમારો મુખ્ય આરોપ છે કે અરવિંદ રાજકીય બાબતોની સમિતિનું કહ્યું નથી સાંભળતાં, પરંતુ હું આ વાંચીને આશ્ચ્રય અનુભવું છું કારણ કે જ્યાં સુધી અરવિંદ તમારાથી સહમત હતા ત્યાં સુધી તેઓ લોકતાંત્રિક હતા. સિસોદિયા હાલમાં આ પત્રમાં નવીન જયહિંદ અને યોગેન્દ્ર યાદવના ખટરાગનો ઉલ્લેખ કર્યો છે, જે બાદ નવીન જયહિંદે રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી રાજીનામું આપ્યું.