રાજ્યસભામાં AAP વધુ મજબૂત બનશે, પંજાબમાંથી બે સાંસદો ચૂંંટાશે!
10 જૂને પંજાબમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. પંજાબના બે રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થવાનો છે.
10 જૂને પંજાબમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. પંજાબના બે રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થવાનો છે. આને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે રાજ્યમાંથી સંસદના ઉપલા ગૃહ માટે દ્વિવાર્ષિક ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ બંને બેઠકો પર આમ આદમી પાર્ટીના સભ્યો કોઈપણ વિરોધ વિના ચૂંટાય તે નિશ્ચિત છે.
રાજ્યસભાના સભ્યો અંબિકા સોની (કોંગ્રેસ) અને બલવિંદર સિંહ ભુંદર (શિરોમણી અકાલી દળ)નો કાર્યકાળ 4 જુલાઈ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ કરુણા રાજુએ જણાવ્યું હતું કે સમયપત્રક મુજબ, દ્વિવાર્ષિક ચૂંટણીઓ માટેની સૂચના 24 મેના રોજ જારી કરવામાં આવશે અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ 31 મે હશે.
રાજુએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ઉમેદવારી પત્રોની ચકાસણી 1 જૂનના રોજ કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 3 જૂન નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 10 જૂને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. એ જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી થશે. 13મી જૂન પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 92 સીટો જીતી હતી. તેથી આમ આદમી પાર્ટીની બંને સીટો પર જીત નિશ્ચિત છે. આ સાથે શીખોની સૌથી જૂની પાર્ટી શિરોમણિ અકાલી દળ પાસે રાજ્યસભામાં એક પણ સભ્ય નહીં રહે. અકાલી દળ પાસે માત્ર ત્રણ ધારાસભ્યો છે. પંજાબમાંથી કોંગ્રેસના પણ રાજ્યસભામાં કોઈ સભ્ય નહીં હોય.
નોંધનીય છે કે પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સહિત આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો માર્ચમાં પંજાબથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. હવે વધુ બે સભ્યોની ચૂંટણીથી રાજ્યસભામાં AAPની સ્થિતિ મજબૂત થશે. 10 જૂન પછી રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના 10 સાંસદો હશે.