AAP Worker Suicide: ભાજપના આરોપો પર સિસોદિયાએ કહ્યુ - 'મોતને ટિકિટ સાથે ના જોડી શકીએ, એ ખોટુ છે'
આત્મહત્યા માટે ભાજપે આપને જવાબદાર ઠેરવીને ગંભીર આરોપ લગાવ્યા છે. જેના પર હવે દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જવાબ આપ્યો છે.
AAP Worker Suicide: દિલ્લીમાં યોજાનારી નગર નિગમ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી સામ-સામે છે. બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોત સતત ચાલુ છે. દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ સાંસદ મનોજ તિવારી પર કેજરીવાલને જાનથી મારવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન ગુરુવારે આમ આદમી પાર્ટીના કાર્યકર સંદીપ ભારદ્વાજે આત્મહત્યા કરી લીધી હતી. દિલ્લી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ આત્મહત્યા માટે ભાજપે આપને જવાબદાર ઠેરવીને ગંભીર આરોપ લગાવ્યા છે. જેના પર હવે દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જવાબ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના કાર્યકર સંદીપ ભારદ્વાજે ગઈકાલે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. સીઆરપીસીની કલમ 174 હેઠળ તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેઓ આપ ટ્રેડ વિંગ, દિલ્લીના સેક્રેટરી અને રાજૌરી ગાર્ડનમાં ભારદ્વાજ માર્બલ્સના માલિક હતા. સંદીપ ભારદ્વાજના મોત પર ભાજપના આરોપોને સિસોદિયાએ ફગાવી દીધા છે. તેમણે કહ્યુ કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. સંદીપજી મારી નિકટ હતા પરંતુ આ રીતે તેમના મોતને ટિકિટ સાથે જોડી શકાય નહિ, આ ખોટુ છે. મનોજ તિવારીના ટ્વિટ પર તેમણે કહ્યુ કે બીજેપી સાંસદે કેજરીવાલને ધમકી આપી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે બીજેપી હત્યાનુ કાવતરુ ઘડી રહી છે.
ઉલ્લેખનીય છે કે મનોજ તિવારીએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે હું માનુ છુ કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. સંદીપ ભારદ્વાજને ટિકિટની ખાતરી આપવામાં આવી હતી. પુરાવા તેને આત્મહત્યા બનાવતા નથી. તે સીટની ટિકિટ વેચાઈ હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે. આત્મહત્યા માટે ઉશ્કેરવુ એ પણ હત્યા સમાન છે. આપના પ્રમુખ અને નેતૃત્વએ આ પાપ કર્યુ છે.
દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ 55 વર્ષીય સંદીપ ભારદ્વાજ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર હતા. તેઓ હાલમાં વેપાર પાંખના રાજ્ય સચિવની ભૂમિકા ભજવી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમનુ મૃત્યુ આત્મહત્યા હોવાનુ જણાય છે પરંતુ તેમના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. આવી સ્થિતિમાં તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે MCD ચૂંટણી માટે ટિકિટ માંગી હતી પરંતુ તે મળી ન હતી. છેલ્લા બે દિવસથી તે ઘરની બહાર પણ નીકળ્યા ન હતા. તેમના સંબંધીઓના નિવેદન નોંધી તપાસ ચાલુ છે.