અબુ આઝમીએ ECને લખ્યું; નરેન્દ્ર મોદી પર પ્રતિબંધ મૂકો
મુંબઇ, 24 જુલાઇ : નરેન્દ્ર મોદીને જોઇને ભડકી ઉઠવા માટે જાણીતા અબુ આઝમીએ આ વખતે હદ વટાવી દીધી છે. તેમણે આ વખતે ચૂંટણી પંચને નરેન્દ્ર મોદી પર પ્રતિબંધ મૂકી દેવા માટે પત્ર લખ્યો છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના મુંબઇમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હિન્દુ રાષ્ટ્રવાદી તરીકે દર્શાવતા ઠેર ઠેર મૂકવામાં આવેલા પોસ્ટરો સામે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ જોરદાર વાંધો ઉઠાવ્યો છે. આ મુદ્દે મોદી પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકી દેવાની માગણી કરતો પત્ર ચૂંટણી પંચને લખ્યો છે.
આઝમીએ પત્રમાં લખ્યું છે કે ‘હું હિન્દુ રાષ્ટ્રવાદી છું, હું દેશભક્ત છું, હું જન્મે હિન્દુ છું' એવું લખાણ દર્શાવતા મોદીના પોસ્ટરો દેશમાં કોમી લાગણીને ભડકાવનારા છે. ઉલ્લેખનીય છે કે મોદી વિશે આ પ્રકારના લખાણો અને તસવીર દર્શાવતા પોસ્ટરો ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ એડવોકેટ આશિષ શેલાર દ્વારા મૂકવામાં આવ્યા હતા.