આરોપી આશિષ મિશ્રા હિંસા સમયે તેના ઠેકાણાના પુરાવા આપી શક્યો નથી-સુત્રો
ખેડૂતોના વિરોધ દરમિયાન કાર ચડાવવા મામલે 3 ઓક્ટોબરે ફાટી નીકળેલી હિંસામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રા ટેનીના પુત્ર વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
લખનઉ, 09 ઓક્ટોબર : ખેડૂતોના વિરોધ દરમિયાન કાર ચડાવવા મામલે 3 ઓક્ટોબરે ફાટી નીકળેલી હિંસામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રા ટેનીના પુત્ર વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. શનિવારે આશિષ મિશ્રા લખીમપુર ખીરી સ્થિત ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં તેમની લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 6 લોકોની ટીમ આશિષની સતત પૂછપરછ કરી રહી છે.
પોલીસે મંત્રીના ઘરે નોટિસ ચોંટાડી શનિવારે સવારે 11 વાગ્યે હાજર થવા કહ્યું હતું, ત્યારબાદ આશિષ મિશ્રા ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આશિષ મિશ્રા 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીમાં તેના ઠેકાણાનો પુરાવો આપવામાં નિષ્ફળ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 3 ઓક્ટોબરના રોજ બપોરે 2:36 થી 3:30 વાગ્યાની વચ્ચે આશિષ ક્યાં હતો તેનો જવાબ આપી શક્યો નથી.
તમને જણાવી દઈએ કે આશિષ મિશ્રા ઉત્તરપ્રદેશ પોલીસ સમક્ષ લખીમપુર ખીરી હિંસા સંદર્ભે હાજર થયો હતો, જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આશિષ સદર ધારાસભ્ય યોગેશ વર્માના સ્કૂટર પર લખીમપુર ખીરી હિંસા કેસમાં પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યો હતો. લખીમપુર ખીરી પોલીસ લાઇનમાં આશિષની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન તેનો મોબાઇલ પણ તપાસ માટે જપ્ત કરવામાં આવ્યો છે.
બીજી તરફ આ અગાઉ આશિષ મિશ્રા કાર્યવાહી ટાળવા નેપાળ ભાગી જવાની ચર્ચા હતી, જે પછી કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રા પોતે મીડિયા સામે આવ્યા અને કહ્યું કે તેઓ ક્યાંય ગયો નથી. પોતાના પુત્રનો બચાવ કરતી વખતે મંત્રીએ કહ્યું હતું કે આશિષ મિશ્રા ઘટનાના દિવસે સ્થળ પર નહોતો, પરંતુ હવે જ્યારે મંત્રીના પુત્રને પૂછવામાં આવ્યું ત્યારે તે તેને યોગ્ય જવાબ આપી શક્યો નથી.