'અગ્નિપથ'ને લઈને અફવા ફેલાવનારા સોશિયલ મીડિયા ગ્રુપ પર ગાળિયો કસાયો, 35 વૉટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ
સેના ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને નકલી સૂચના દ્વારા યુવાનોને ભડકાવનાર સોશિયલ મીડિયા ગ્રુપ્સ પર કડકાઈ વર્તવામાં આવી રહી છે.
નવી દિલ્લીઃ સેના ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને નકલી સૂચના દ્વારા યુવાનોને ભડકાવનાર સોશિયલ મીડિયા ગ્રુપ્સ પર કડકાઈ વર્તવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં 35 વૉટ્સએપ ગ્રુપ પર કાર્યવાહી કરી છે. આ બધાને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રએ આ અઠવાડિયે મંગળવારે અગ્નિપથની જાહેરાત કરી હતી જે ભારતીય યુવાનો માટે સશસ્ત્ર દળોની ભરતીની નવી યોજના છે. શુક્રવારે બે દિવસ પહેલા સેનાની નવી ભરતી યોજના અગ્નિપથની જાહેરાત બાદ બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હૈદરાબાદ સહિત ઘણા રાજ્યોમાં યુવાનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ તેલંગાનામાં ઘણી ટ્રેનોને આગ ચાંપી દીધી હતી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યુ હતુ. હજારો આંદોલનકારીઓ કથિત રીતે સિકંદરાબાદમાં એક રેલવે સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને પેસેન્જર ટ્રેનના એક ડબ્બાને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં લગભગ 40 લોકો સવાર હતા. જો કે, રેલવે સ્ટાફ તેમને બચાવીને બાજુના કોચમાં લઈ ગયા હતા.
અગ્નિપથના નિર્ણય પર પાછા હટવાનો સવાલ નથીઃ કેન્દ્ર
વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યુ કે કેન્દ્ર સરકાર તેના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં. મંત્રાલયે જણાવ્યુ હતુ કે સિયાચીન અને અન્ય વિસ્તારોમાં 'અગ્નિવીરો'ને તે જ ભથ્થુ મળશે જે હાલમાં સેવા આપતા નિયમિત સૈનિકોને લાગુ પડે છે અને જવાનોની શહીદી પર 1 કરોડ રૂપિયા પણ આપવામાં આવશે પરંતુ માત્ર અગ્નિપથ યોજનાથી જ ભારતીય સેનામાં ભરતી થશે.
સેનાના ઉચ્ચ અધિકારીઓએ કહી આ વાત
એર માર્શલ એસકે ઝાએ જણાવ્યુ હતુ કે 24 જૂનથી અગ્નિવીર બેચ નંબર 1ની નોંધણી પ્રક્રિયા અને 24 જુલાઈથી પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષા પ્રક્રિયા શરૂ થશે. ડિસેમ્બર સુધીમાં પ્રથમ બેચની નોંધણી કરવામાં આવશે અને 30 ડિસેમ્બર સુધીમાં તાલીમ શરૂ થશે. આર્મી વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યુ કે આ વર્ષે 21 નવેમ્બરથી પ્રથમ નૌકાદળ અગ્નિવીરની પ્રથમ બેચ ઓરિસ્સાના ચિલ્કા ટ્રેનિંગ સેન્ટરમાં આવવાનુ શરૂ કરશે. અગ્નિવીરોની મહિલા અને પુરૂષ બંને શ્રેણી માટે તાલીમની વ્યવસ્થા છે. બીજી તરફ લેફ્ટનન્ટ જનરલ બંસી પોનપ્પાએ કહ્યુ કે ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં સેનાને 25 હજાર 'અગ્નિવીર'ની પ્રથમ બેચ મળી જશે.
ખોટી માહિતી ફેલાવનારા 35 વૉટ્સએપ ગ્રુપ પર કાર્યવાહી
ખોટી માહિતી ફેલાવવામાં અને હિંસા ભડકાવવામાં સામેલ લોકો પર સરકાર નજર રાખી રહી છે. અગ્નિપથ પર નકલી સમાચાર ફેલાવવા અને યુવાનોને ગેરમાર્ગે દોરવા બદલ ઓછામાં ઓછા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ખોટી માહિતી ફેલાવવા બદલ 35 વોટ્સએપ ગ્રુપ પર કાર્યવાહી કરી છે. આ તમામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ગ્રુપની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
ઉપદ્રવીઓ પર કાર્યવાહી
અગ્નિપથ વિરુદ્ધ હિંસા ભડકાવવા અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા અંગે કેન્દ્ર સરકાર કડક છે. સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હિંસા ભડકાવવાના કેસમાં એક ભૂતપૂર્વ સૈનિકની ઓળખ કરવામાં આવી છે, જેને WhatsApp જૂથ દ્વારા કથિત રીતે હિંસા ભડકાવવા માટે જવાબદાર માનવામાં આવે છે. વળી બિહાર, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં બદમાશો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.