અડવાણીનું રાજીનામુ NDA માટે સારી બાબત નથી : JDU
જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ના નેતા શરદ યાદવે આ બાબતને અત્યંત દુ:ખદ ગણાવી છે અને જણાવ્યું કે "નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સ્વાસ્થ માટે આ સારી બાબત નથી. એનડીએ પર તેની મોટી નકારાત્મક અસર થશે." ભાજપ અને જેડીયુએ સાથે મળીને અન્ય પાર્ટીઓના સહયોગથી એનડીએની રચના કરી હતી. આ ગઠબંધન હેઠળ વર્ષ 2004 અને વર્ષ 2009ની લોકસભા ચૂંટણીઓ લડવામાં આવી હતી. શરદ યાદવ એનડીએના કન્વેનર છે. બિહારમાં પણ જેડીયુ અને ભાજપની યુતિ સરકાર છે.
બીજી તરફ ગઇકાલે હજી જ્યાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું સમાપન થયું છે તેવા ગોવા પ્રદેશ ભાજપને આ સમગ્ર ઘટનાથી મોટો આંચકો લાગ્યો છે. ગોવા ભાજપ આ ઘટનાથી અવાક બની ગઇ છે.
ઉત્તર ગોવાના સાંસદ શ્રીપાદ નાઇકે જણાવ્યું કે અડવાણીના નિર્ણયથી તેમને ઘેરો આઘાત લાગ્યો છે. ગઇકાલના નિર્ણયો બાદ પાર્ટીએ આગળ વધવાનું છે ત્યારે તેમણે રાજીનામુ આપવું જોઇતું ન હતું. તેમણે પાર્ટીને પૂરેપૂરું સમર્થન આપવું જોઇતું હતું. આ બાબત કમનસીબ છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે એટલે કે 9 જૂન, 2013 રવિવારના રોજ ગોવામાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીના અંતિમ દિવસે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહે ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી હતી. અડવાણી આ પદ પર નરેન્દ્ર મોદીની નિયુક્તિના વિરોધી હતા. આ કારણે જ તેમણે બિમારીનું બહાનુ આગળ ધરીને કારોબારી બેઠકથી ત્રણે ત્રણ દિવસ માટે દૂર રહ્યા હતા.